શું અદાપુર ગામના ભાઠાફળીના લોકોને 24 કલાક વીજળી મેળવવાનો હક્ક નથી ?
જો અધિકારીઓને વીજળી વિના ચાલે તો આ લોકો પણ ચલવી લે !
શું આ પરિવારોને જ્યોતિગ્રામ ન આપવાના વીજ વિભાગે સોગંધ લીધા છે કે શું?
3.75 મીટર વાયર લાંબો કરો તો જ્યોતિગ્રામ પહોંચી શકે એમ છે,,,, પણ….
આજે ભારત અંતરિક્ષ ક્ષેત્રે પહોંચી રહ્યું છે, જોકે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ પહોંચી નથી. આઝાદી પછી ભારતમાં વીજળી, પાણી અને રસ્તાઓ બનાવવાના વાયદા થતાં હતા, જે આજે પણ ક્યાંય પૂરા થયા ન હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ સત્તા પર છે, ગ્રામ્ય વિસ્તારોમાં 24 કલાક ઘરેલું વીજળી આપવાના વાયદાઓ કરવામાં આવ્યા છે, જોકે અધિકારીઓની આળસ અને નેતાઓની દખલગિરીથી ક્યાંક જ્યોતિગ્રામ પહોંચ્યું નથી, જેથી ગ્રામ્ય વિસ્તારોના લોકો એગ્રીકલ્ચર વીજળી પર નભી રહ્યા છે.
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મંગલપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા અદાપુર ગામની પણ આવી જ સ્થિતિ છે. અહીં અદાપુર ગામ ના ભાઠાફળી (પેટાપરા) માં બક્ષીપંચ પરિવારોના 17 મકાનો છે. આ વિસ્તારના લોકો હજુ પણ જ્યોતિગ્રામ થી વંચિત છે. આ અંગે સ્થાનિક આગેવાન સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ અંગે પંચાયત તરફથી દરખાસ્ત પણ મોકલી દેવાઈ છે, જોકે અધિકારીઓ આવે છે અને જતા રહે છે, પણ દરખાસ્તની ફાઈલ ક્યાં અટવાઈ પડી છે, તે સમજાતું નથી.
કોઈ નેતા આવવાના હોય તો રાત-દિવસ એક કરીને વીજ વિભાગ દ્વારા વીજળીમાં કોઈ ખલેલ ન પડે તે માટે ખડેપગે રહેતા હોય છે, પણ જે લોકો ગ્રામિણ વિસ્તારોમાં રહે છે, તેમના જીવનમાં વીજ વિભાગની ઉજાશ ક્યારે આવશે તે સવાલ છે. આ અંગે માલપુર ડિવિઝન ઈજનેર સાથે ટેલિફોનિક વાતચીતમાં આ અંગે પૂછતા, તેમણે જણાવ્યું કે, હાલમાં જે તેઓનું પોસ્ટિંગ થયું છે, આ બાબતે તેઓ તપાસ કરશે.
અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાત્રી મુકામ કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે, જોકે, આવા કાર્યક્રમ વીજળી, પાણી અને રસ્તાથી વંચિત હોય તેવા ગ્રામ્ય વિસ્તારોમાં થાય, તો અધિકારીઓ આ બાબતથી વાકેફ થઈ શકે છે. બાકી તો ઉચ્ચ અધિકારીઓ સુધી વિકાસથી વંચિત હોય તેવા ગામડાની વાત પહોંચતી જ નથી. માલપુર તાલુકાના અદાપુર ગામે હવે જ્યોતિગ્રામ ક્યારે પહોંચશે તે સવાલ છે.






