અરવલ્લી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લોકો ત્રસ્ત બની ગયા હોય તેવું લાગે છે. અરવલ્લી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગર પાલિકાઓમાં ભાજપ સત્તા પર છે, એટલું જ નહીં મંત્રી હોવા છતાં પણ લોકોની સમસ્યાઓ ઓછી થવાને બદલે સતત વધી રહી હોય તેવું લાગે છે. મોડાસા ના માલપુર રોડ પર ઘણાં વર્ષોથી ભૂગર્ભ ગટર લાઈનની કામગીરી ચાલી રહી છે, જેને લઇને લોકો રોજે-રોજ મુસીબતોનો સામનો કરી રહ્યા છે. કેટલીકવાર અકસ્માતો બને, કોઈ વાહન ચાલક પડી જાય, પણ તંત્રને પ્રજાની કોઈ જ પરવા નથી.
મોડાસા નગર પાલિકા અને વહીવટી તંત્ર કેમ જાણે એજન્સી સામે દંડવત કરી રહી છે, તે કાંઈ સમજાતું નથી. માલપુર રોડ પર ઘણાં સમયથી ભૂગર્ભ ગટરની કામગીરીને કારણે સ્થાનિક દુકાનદારો, રાહદારીઓ પરેશાન થતાં સ્થાનિક લોકોએ રોડ પર બેસી વિરોધ દર્શાવ્યો હતો. રોડ સંપૂર્ણપણે ક્યારે શરૂ થશે, અને કામગીરી ક્યારે પૂર્ણ થશે, તેવા સવાલો સાથે લોકોએ વિરોધ દર્શાવ્યો હતો. અધિકારીઓ તો પોતાનો સુરક્ષિત અને સરળ રસ્તો શોધી લે છે અને બાયપાસ થી પસાર થઈ જતાં હોય છે, પણ જે લોકો મજબૂરીમાં આ રસ્તે આવી રહ્યા છે, તેમને તો મુશ્કેલીઓ પડી રહી છે, પણ તંત્ર અને પાલિકા સત્તાધિશો લોકોની સમસ્યાઓને ક્યારે સમજી, તેનું નિરાકરણ લાવશે, તે સવાલ છે.






