રાજ્ય સહિત દેશભરતમાં મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દાઓ પર કોંગ્રેસ મજબૂતાઈથી લડત લડી રહી છે, હવે કોંગ્રેસ પાર્ટીએ આરોગ્ય ક્ષેત્રે થતાં ખાનગીકરણના બદલાવને લઇને પણ અવાજ બુલંદ કર્યો છે. અરવલ્લી જિલ્લામાં ડાયાલિસીસ સેન્ટર ના ખાનગીકરણ સામે વિરોધ દર્શાવ્યો છે. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ અરૂણ પટેલે, જણાવ્યું કે, આ તો દર્દીઓના દર્દ પર ઘા મારવા જેવી સ્થિતિ છે.

અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરૂણ પટેલે ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે, રાજ્ય સરકારે કોઈ ટેન્ડર વિના, કોઈ પારદર્શિતા વિના અરવલ્લીના મોડાસા, માલપુર, બાયડ, શામળાજી, ધનસુરા, મેઘરજ તથા ભિલોડાના સરકારી ડાયાલિસીસ સેન્ટર્સ સિમ્બાયોસિસ હેલ્થકેર ફાઉન્ડેશન નામની ખાનગી સંસ્થાને સોંપી દીધા છે. કોંગ્રેસે ઉમેર્યું કે, 20 કરોડથી વધુના સરકારી સાધનો અને બિલ્ડિંગ્સ મફતમાં ખાનગી સંસ્થાને પધરાવી દેવામાં આવ્યા છે. જેથી હવે, દર વર્ષે લગભગ 10 કરોડનો નફો ખાનગી સંસ્થાના ખાતામાં જશે. સરકારી ડોક્ટર્સ ને પણ ફરજિયાત આ સેન્ટર્સ માં હવે સેવા આપવી પડશે. કોંગ્રેસે જણાવ્યું કે, ઠરાવમાં સંસ્થાનું સંપૂર્ણ સરનામું પણ જાહેર કરાયું નથી.
અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખે જણાવ્યું કે, ભાજપ સરકાર ગરીબ દર્દીઓ માટેની સેવા પર પોતાના મળતિયાને કરોડોની કમાણી કરાવી રહી છે, આ સ્પષ્ટ ભ્રષ્ટાચાર છે. કોંગ્રેસની માંગણી છે કે, ઠરાવ તાત્કાલિક રદ કરવામાં આવે અને સેન્ટર્સનું સંચાલન ફરીથી સરકારી આરોગ્ય વિભાગને સોંપવામાં આવે. આ સમગ્ર મામલાની સ્વતંત્ર તપાસ કરવાની પણ કોંગ્રેસે માંગ કરી છે. કોંગ્રેસે ચેતવણી આપી છે કે, જો સરકાર પગલાં નહીં ભરે તો આ મુદ્દો રાજ્યપાલ તથા ન્યાયાલય સુધી લઈ જવામાં આવશે.






