અરવલ્લી જિલ્લાના મોડાસા માઝૂમ નદી કિનારે બનતા રીવર પાર્ક પર કરોડો રૂપિયા નો ખર્ચ થવાનો છે, જે સારી બાબત છે. પરંતુ નદીનો વિસ્તાર કાપીને રીવર પાર્કના નિર્માણથી આવનાર ભવિષ્યમાં પાણી ની ડિસ્ચાર્જ કેપિસિટી કેટલી થશે તેના પર સવાલો ઉઠી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ માઝૂમ ડેમની સરેરાશ 70,000 થી 80,000 ક્યુસેક ડિસ્ચાર્જ કેપિસિટી છે, આ સાથે જ ડેમ થી મોડાસા માઝૂમ ડેમ વચ્ચેના વિસ્તારની કિપિસિટીની ગણતરી કેવી રીતે કરી હશે? વડવાઓની ચર્ચાઓ મુજબ જો, 80,000 ક્યુસેક પાણી છોડવામાં આવે, તો ઘણાં વિસ્તારો ડૂમમાં જાય છે, તો વરસાદી માહોલમાં વચ્ચેના વિસ્તારની ડિસ્ચાર્જ કેપિસિટી ગણવામાં આવે તો 1 લાખ ક્યુસેક કરતા વધી શકે એમ છે. આ બધી ગણતરી નિષ્ણાંતોએ ગણતરી કરીને રીવર પાર્કનું નિર્માણ શરૂ કર્યું છે કે શું?
જમણાં કાંઠે નિર્માણ તો ડાબા કાંઠે મિએન્ડરિંગ (ધોવાણ) નહીં થાય તેની જવાબદારી વર્તમાન અધિકારીઓની?
હાલ, મોડાસા માઝૂમ નદી કિનારે જમણાં કાંઠા (બ્રિજ પરથી ઊભા રહીને સબલપુર તરફ નજર કરતાં) નિર્માણ થઈ રહ્યું છે. જ્યારે આ ભાગમાં રીવર પાર્કનું નિર્માણ થશે તો પાણી આપો-આપ તેનો માર્ગ બનાવી લેશે. એટલે કે, જમણાં કાંઠાનું ધોવાણ થશે, તે વાત ને પણ નકારી શકાય તેમ નથી. હાલ, તો ચર્ચાઓ એવી ચાલી છે કે, ગમે તેમ કરીને આવેલી ગ્રાન્ટ કેવી રીતે પૂરી કરીને રીવર પાર્ક ઊભો કરી દેવો.
હાલ તો, શહેરમાં એવી ચર્ચા છે કે, યોજના બનાવતી વખતે કદાચ નદીને પૂછવાનું રહી ગયું હશે કે, “ભારે વરસાદ આવે ત્યારે તમે કઈ બાજુથી પસાર થવાના છો?” કારણ કે કાગળ પર દોરેલી લાઇન પ્રમાણે નદીઓ ક્યારેય વહેતી નથી. જો આવતીકાલે 80 હજાર કે તેથી વધુ ક્યુસેક પાણી આવી પહોંચે અને નદી પોતાનો રસ્તો જાતે જ નક્કી કરે, તો પછી જવાબદારી કોની? “પાણીને નિયમોનું પાલન ન કરવાને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હતી!” અધિકારીઓએ એ વાત પણ ન ભૂલવી જોઈએ કે, કામમાં બેદરકારી દાખવવા બદલ, હવે સરકાર ઘરભેગા પણ કરી રહી છે.






