નવી દિલ્હી : દેશની શિક્ષણ વ્યવસ્થામાં થયેલી ગેરરીતિઓ અને પેપરલીક કાંડના મુદ્દે લાંબા સમયથી ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલનને મોટી સફળતા મળી છે. કોક્રોજ જનતા પાર્ટી સહિતના વિવિધ સંગઠનો દ્વારા દિલ્હીના જંતર-મંતર ખાતે સતત વિરોધ પ્રદર્શન કરીને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ ઉઠાવવામાં આવી હતી. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ આંદોલનકારીઓએ તેને વિદ્યાર્થીઓની જીત ગણાવી છે.
શિક્ષણ મંત્રીના રાજીનામા બાદ કોક્રોજ જનતા પાર્ટીના સંયોજક અભિજીત દીપકેએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે, “ડરવાનું નથી. આ લોકશાહી છે. જો લોકશાહીમાં પોતાનો અવાજ ઉઠાવતા ડર લાગવા લાગે, તો પછી એ કેવી લોકશાહી?”
તેમણે વધુમાં કહ્યું કે, “નેતાઓને લાઈનમાં રાખવા જરૂરી છે, કારણ કે જે લોકો આજે પોતાને બાદશાહ સમજે છે, તેઓ પણ જનતાના મતથી જ સત્તા પર બેઠા છે.”
View this post on Instagram
સરકાર પર નિશાન સાધતાં અભિજીત દીપકેએ કહ્યું કે, “આ સરકારમાં રાજીનામાં નથી થતાં એવું કહેવામાં આવતું હતું, પરંતુ અમે કહી દીધું હતું કે, ‘ઝુકે છે દુનિયા, ઝુકાવનારા જોઈએ.’ આજે વિદ્યાર્થીઓના સંઘર્ષે એ સાબિત કરી બતાવ્યું છે.” ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા વિદ્યાર્થીઓ અને વિવિધ સંગઠનોએ તેને શિક્ષણ વ્યવસ્થામાં જવાબદારી નક્કી કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે.






