અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના પ્રખ્યાત યાત્રાધામ અને પ.પુ. સ.ગુ. શ્રી ગોપાળાનંદ સ્વામીની પવિત્ર પાવન જન્મભૂમિ શ્રી સ્વામિનારાયણ મંદિર – ટોરડાધામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે ‘અષાઢી તૌલ’ નું આયોજન કરવામાં આવ્યું હતું.શ્રી સ્વામિનારાયણ મંદિર, ટોરડાના મહંત શાસ્ત્રી સ્વામી સિદ્ધેશ્વરદાસજી, હરીભકત મંડળ અને ટોરડા, ટાકાટુકા, પહાડા, બુઢેલી સહિત આસપાસના ગ્રામજનો, ખેડૂતો અને નોકરીયાત વર્ગની વિશેષ ઉપસ્થિતિમાં વર્ષોજુની પ્રાચીન વિધિ સંપન્ન થઈ હતી.
વર્ષોથી ચાલી આવતી આ ઐતિહાસિક પરંપરા મુજબ અષાઢી પૂણિમાની રાત્રે ૧૧ (અગિયાર) ધાન્ય પાકોને પ-પ ગ્રામ તોલીને ભગવાનના વસ્ત્રોમાં બાંધી, એક માટલીમાં મૂકી માતાજીની સાડીથી મોઢું બાંધીને ભગવાન સમક્ષ રાખવામાં આવે છે. ત્યાર બાદ બીજે દિવસે સવારે અષાઢ વદ એકમના રોજ આ ધાન્યનું પુનઃ વજન કરવામાં આવે છે.બાજરીના કણથી થતી વધ-ઘટના આધારે આગામી વર્ષના પાક અને વરસાદનું પૂર્વાનુમાન કરવામાં આવે છે.
વર્ષ ૨૦૨૬-૨૭ માટે અષાઢી તૌલનું તારણ…
બાજરી અને ઘઉં :- ઉત્પાદન સામાન્ય/બરાબર રહેશે…
ડાંગર :- બાજરીના ૧૦૦ કણ વધારો (ડાંગરનો પાક વિપુલ પ્રમાણમાં થશે)
મગ અને રસકસ :- મગમાં ૧૬ કણ વધારો જ્યારે રસકસમાં ૧૬ કણનો ઘટાડો નોંધાયો છે.
મકાઈ અને ચણા :- બંને પાકોમાં બાજરીના ૩-૩ કણનો વધારો સૂચવે છે કે આ પાકો સારા થશે…
કપાસ :- બાજરીનો ૧ કણ ઘટતા ઉત્પાદનમાં આંશિક ઘટાડો થઈ શકે છે.
જમીનની ગુણવત્તા (માટી તૌલ) :- કાળી માટીમાં ૩ કણ અને લાલ માટીમાં ૨૫ કણનો વધારો નોંધાયો છે, જે દર્શાવે છે કે જમીનની ફળદ્રુપતા અને ભેજ સારો રહેશે…
અષાઢી તૌલના આંકડાકીય વિશ્લેષણ બાદ શ્રી સ્વામિનારાયણ મંદિરના જ્યોતિષીય ગણતરી મુજબ એકંદરે સમગ્ર વર્ષ સારૂ અને સમૃદ્ધિ રહેશે… તેવી આગાહી કરવામાં આવી છે, સ્થાનિક ખેડૂત આલમમાં હર્ષની લાગણી વ્યાપી ગઈ છે.






