અરવલ્લી જીલ્લાની સરકારી કચેરીઓમાં કામકાજ અર્થે આવતા અરજદારો પાસેથી સરકારી કામકાજ ઝડપથી પૂર્ણ કરી આપવાનું જણાવી દલાલો પૈસા પડાવતા હોવાનું તંત્રને ધ્યાને આવતા અરવલ્લી જિલ્લાની તમામ સરકારી કચેરીઓ ખાતે અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવતું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે.તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ સરકારી જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમની કલમો તથા ભારતીય દંડ સંહિતા મુજબ શિક્ષાને પાત્ર થશે અને તેની કાર્યવાહી કરવામાં આવશે
અરવલ્લી જિલ્લા મેજીસ્ટ્રેટના કાર્યક્ષેત્ર વિસ્તારમાં આવતી કચેરીઓ જેવી કે જિલ્લા સેવાસદન, જિલ્લા ન્યાય સંકુલ, જિલ્લા પંચાયત કચેરી, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી સહિત જિલ્લામાં આવેલી તમામ સરકારી કચેરીઓ ખાતે દૈનિક ધોરણે મોટા પ્રમાણમાં નાગરિકો પોતાના કામ અર્થે આવતા હોય છે. કેટલાક અનઅધિકૃત વ્યક્તિઓ કે તેમની ટોળી આવા નાગરિકો અથવા અરજદારોને ગેરમાર્ગે દોરી, લલચાવી તેમજ વચેટિયા તરીકે કામ કરવાનો ઇરાદો ધરાવે છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ
ડી.વી.મકવાણાએ આવા વ્યક્તિઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે.
આવા કોઈપણ અનઅધિકૃત વ્યક્તિઓ કે ટોળી જિલ્લામાં આવેલી તમામ સરકારી કચેરીઓના મુખ્ય દરવાજાની આસપાસના 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ઉભા રહેવા તથા કચેરીમાં પ્રવેશ કરી શકશે નહી. આ જાહેરનામાની અમલવારી 29 સપ્ટેમ્બર 2026 સુધી કરવાનો રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ -37 (4) મુજબ શિક્ષાને પાત્ર થશે.
અરવલ્લી જીલ્લાની સરકારી કચેરીઓમાં દલાલો અને લાંચ વગર કોઈ કામ થતું નથીની બૂમો ઉઠી રહી છે વધતા ભ્રષ્ટાચાર અને લાંચરુશ્વત સામે ઝીરો ટોલરન્સ તરફ સરકાર-વહીવટી સ્તરે પ્રયાસો શરૂ થયા છે. જો બધું બરાબર ચાલશે તો જિલ્લા મથકથી લઈને બ્લોક લેવલે સુધીની સરકારી કચેરીઓમાં લાંચ, ગોટાળા, કાળાબજાર અને ભ્રષ્ટાચારનો વ્યાપ બંધ થઈ જશે.સૂત્રો અનુસાર જો વચેટિયા સક્રિય થાય તો નાગરિકોની ગોપનીયતા ઉલ્લંઘન અને નાણાંનો વ્યય જોવા મળે છે. આ પ્રવૃત્તિઓ જોવા મળશે તો સરકાર તેની સામે કડક પગલાં લેશે. અરવલ્લી જિલ્લામાં વચેટિયાઓના દુષણને દૂર કરવા મહત્વનું પગલું ભરાયું છે.






