પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપમાં વિશ્વાસ અને જનાદેશ બદલ સૌ મતદારોનો આભાર માન્યો છે. ગુરૂવાર સાથે ભાજપ પક્ષના મુખ્યમથક પર કાર્યકરોને સંબોધતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પક્ષની જીત માટે સખત મહેનત કરનારા કાર્યકરોનો પણ આભાર માન્યો છે. પક્ષના અગ્રણીઓ અમીત શાહ, રાજનાથસિંહ, જે.પી.નડ્ડા અને અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં ઉમટેલા કાર્યકરોના જુસ્સા અને સુત્રોચ્ચાર વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશની વિકાસયાત્રામાં ભારતીય જનતા પાર્ટીએ આપેલા યોગદાનને લોકોએ પસંદ કરીને જનાદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, આ જનાદેશ સામે આપણી જવાબદારી વધી છે અને પ્રજાની આકાંક્ષાઓ અનુસાર કાર્ય કરવાની આપણી ફરજ વધી છે.

પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ચાર રાજ્યોમાં જીત મેળવી છે, જેમાં ઉત્તર પ્રદેશ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડમાં ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવતા પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું કે, ઉત્તર પ્રદેશની જનતાએ ખૂબ પ્રેમ આપ્યો છે, હવે 10 માર્ચથી હોળી રમીશું.





