અરવલ્લી જિલ્લામાં તસ્કરો સક્રિય થયા હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા બે દિવસમાં મોડાસા શહેરી વિસ્તાર તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી રહ્યા છે, આ વચ્ચે ટાઉન પોલિસનું ડી સ્ટાફ શું કરે છે તે ભગવાન જાણે. બે દિવસ પહેલા આઈટીઆઈ સામે આવેલ સુવિધા ફ્લેટમાંથી ધોળે દહાડે ૪.૫૦ લાખની ચોરી થઇ હતી એ ઘટનાની શાહી સુકાઈ નથી ત્યારે શહેરના ખલીકપુર વિસ્તારમાં આવેલા ભરતવાટિકા સોસાયટીના બંધ મકાનમાં તસ્કરોએ હાથ સાફ કરી દીધા અને 1.80 લાખ રૂપિયાની મત્તા ચોરી કરીને પલાયન થઇ જતાં ચકચાર મચી જવા પામી છે.
મોડાસા શહેરની નજીક આવેલા ખલીકપુર ગામની સીમમાં આવેલી ભરતવાટીકા સોસાયટીમાં બંધ મકાનમાં તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ચોરીની ઘટનાને અંજામ આપીને પલાયન થઇ ગયા. ઘરના ડ્રોઇંગ રૂમના ડ્રોઅરમાંથી રોકડ 25,000 રૂપિયા, બેડરૂમના મુકેલ તિજોરીમાંથી બે સોનાની બંગળી, ચાંદીના 10 સિક્કા મળી કુલ રૂપિય 1.80 લાખની મત્તા ચોરી થતાં પોલિસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. સતત ચોરીની ઘટના ઘટતા હવે પોલિસ પેટ્રોલિંગ કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.
ઘટનાની જાણ થતાં ડોગ સ્ક્વોર્ડની ટીમ ઘટનાસ્થળે પહોંચી તસ્કરોનું પગેરૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જોકે તસ્કરો સુધી પહોંચવામાં પોલિસ ક્યાં સુધી સફળ રહે છે તે જોવું રહ્યું, પણ હાલ તો પોલિસ તપાસ કરીને સંતોષ માની રહી છે, પણ ટાઉન પોલિસની ડી સ્ટાફ શું કરી રહ્યું છે તે પણ સવાલો ઉઠી રહ્યા છે. ડી સ્ટાફની ટીમને શેમાં રસ છે તેવી પણ લોકચર્ચાએ જોર પકડ્યું છે.





