ચૂંટણી નજીક છે ત્યારે રાજકારણમાં પક્ષપલટો થવો ખૂબ સામાન્ય છે,સામ, દામ, દંડ, ભેદ આ તમામનો પાવર અપનાવીને જોડતોડની રાજનીતિ થતી હોય છે,સુરતના રાજકારણમાં પણ આવો જ ભૂકંપ ત્યારે આવ્યો હતો,જ્યારે પાલિકાના ઇતિહાસમાં પહેલીવાર વિપક્ષમાં બેસનાર આમ આદમી પાર્ટીના એક પછી એક પાંચ કોર્પોરેટરોએ ઝાડુ છોડીને કમળનો હાથ પકડ્યો હતો.
– ગૃહ રાજયમંત્રીની હાજરીમાં આપના નગર સેવકોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.
ગૃહ રાજયમંત્રી અને ભાજપના મોટા નેતાઓની હાજરીમાં આ પાંચ નગરસેવકોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો,તે સમયે આમ આદમી પાર્ટીએ પક્ષપલટા કરીને ગયેલા આ કોર્પોરેટરને ગદ્દારનું બિરુદ આપ્યું હતું,જોકે આજે આમ આદમી પાર્ટીએ વળતો ઝટકો ભાજપને ત્યારે આપ્યો,જ્યારે થોડા દિવસો પહેલા ભાજપમાં ગયેલા પાંચ પૈકી વોર્ડ નંબર ૫ ના નગરસેવક મનીષા કુકડીયા ભાજપ છોડીને પાછા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
– આપના કોર્પોરેટરને લાખો રૂપિયા આપી ખરીદ્યા હોવાની ચર્ચાએ જોર પકડયું હતું.
એવું ચર્ચામાં હતું કે આ કોર્પોરેટરોને ભાજપે લાખો રૂપિયા આપીને ખરીદ્યા છે, જોકે જે તે સમયે આપના આ કોર્પોરેટરોએ ભાજપની કંઠી પહેર્યા પછી ભાજપના ગુણ ગાન ગાયા હતા,અને આપ પાર્ટી સામે ગંભીર આક્ષેપો પણ કર્યા હતા,પરંતુ આજે ફરી એકવાર આપમાં જોડાનાર મનીષા કુકડીયાનો સુર બદલાયો હતો,અને તેમણે ફરી આપમાં જોડાવાનું પસંદ કર્યું હતું, જોકે આ રાજકીય હિલચાલને કારણે વધુ એક વખત સુરતનું રાજકારણ ગરમાયુ છે. આવનારા દિવસોમાં બંને પક્ષમાં શું નવાજુની થાય છે તેના પર પણ સૌની નજર છે.