અરવલ્લી જિલ્લાના મોડાસા પંથકમાં પાછોતરા વરસાદથી ખેડૂતોને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે, જેમાં મગફળી તેમજ કપાસના પાકને નુકસાન થવા છતાં ખેતીવાડી વિભાગ મગનું નામ મરી પાડવા તૈયાર નથી અને કોઇપણ પ્રકારની કામગીરી માટે આગળ ન વધતુ હોય તેવું લાગે છે. મોડાસા પંથકમાં ભારે વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે વળતર આપવા મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરે કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો છે.
મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરે કૃષિમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે, મોડાસા અને ધનસુરા તાલુકામાં તાજેતરમાં થયેલા વરસાદથી ભારે નુકસાન પહોંચ્યું છે, જેમાં 3 થી 4 ઇંચ જેટલા વરસાદને કારણે ખેડૂતોના કપાસ, મગફળી, અડદ તેમજ સોયાબીનના પાકને નુકસાન થવા પામ્યું છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, ખેડૂતોએ ધીરાણ લઇને બિયાર, ખાતર, દવાઓ પાછળ ખર્ચે કર્યો હતો જોકે કમોસમી વરસાદને કારણે ખેડૂતોના માથે આભ તૂટી પડવા જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ત્યારે ખેડૂતોને નુકસાનનું વળતર મળે તે જરૂરી છે.
મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરે ઉમેર્યું છે કે, નુકસાન થયેલા વિસ્તારોમાં સર્વે કરવામાં આવી અને ખેડૂતોને તાત્કાલિક સહાય ચુકવાય તે જરૂરી છે.