રાજ્ય સરકારે સંસ્કૃત પાઠશાળાઓને વધુ સશક્ત બનાવવા અંગે મહત્વનો નિર્ણય કર્યો. શિક્ષણમંત્રી જીતુવાઘાણીએ જણાવ્યું કે, સંસ્કૃત સાધના અંતર્ગત સંસ્કૃત ભાષા, સાહિત્ય, ભારતીય સંસ્કૃતિ અને તત્વચિંતનના સંવર્ધન માટે હયાત સંસ્કૃત પાઠશાળાઓનું સશકિતકરણ કરવા શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે.
તેમણે જણાવ્યું કે, સંસ્કૃત સાધના અંતર્ગત સંસ્કૃત ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ તેમજ તત્વચિંતનના સંવર્ધન હેતુથી રાજ્યની કુલ 3 સરકારી, 34 બિનસરકારી અનુદાનિત, 9 સ્વનિર્ભર શાળાઓ સહિત કુલ 46 સંસ્કૃત પાઠશાળાઓનું સશક્તિકરણ કરવામાં આવશે. આ માટે તમામ કક્ષાની શાળાઓને 100 ટકા ગ્રાન્ટ તેમજ નિભાવ ખર્ચ આપવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું કે લોકભાગીદારીથી સંસ્કૃત શક્તિ ગુરુકૂળ શરુ કરવામાં આવશે. તેમજ આ શાળામાં વેદ, પુરાણ, જ્યોતિષ આયુર્વેદ, જેવા શાસ્ત્રોની અભ્યાસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. પ્રત્યેક ગુરુકુળમાં 150થી 300 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. તેમજ પ્રત્યેક વિદ્યાર્થી દીઠ રુપિયા 50,000ની નાણાંકીય સહાય પ્રોજેક્ટ પાર્ટનર્સને પૂરી પાડવામાં આવશે.