વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા.૩૦ઑકટોબર થી તા.1લી નવેમ્બર દરમિયાન ગુજરાતના પ્રવાસે : પ્રવકતા મંત્રી જીતુભાઈ વાઘાણી
વડાપ્રધાન તા.31મી ઑકટોબર સરદાર પટેલ જયંતીએ કેવડિયા ખાતે સરદાર સાહેબને આદરાંજલી આપી એકતા પરેડમાં સહભાગી થશે
વડોદરા,થરાદ અને જાંબુઘોડા ખાતે વિવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત ત-લોકાર્પણ કરાશે : તમામ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જોડાશે
પ્રવકતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી આવતી કાલે તા.30મી ઓક્ટોબરથી તા.૧લી નવેમ્બર દરમિયાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાનના હસ્તે વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ તેમની સાથે જોડાશે.
વાઘાણીએ ઉમેર્યું કે, વડાપ્રધાનના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર 30 મી ઑકટોબરના રોજ વડોદરા ખાતે આવી પહોચશે. ત્યાર બાદ વડોદરા ખાતે સી-૨૯૫ એરક્રાફટ નિર્માણના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ પીએમ મોદી તા.31મી ઓક્ટોબર સરદાર પટેલ જયંતિ નિમિત્તે કેવડીયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબને આદરાંજલી આપીને શ્રધ્ધા સુમન અર્પણ કરશે. ત્યારબાદ કેવડિયા પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત યોજાનાર પરેડમાં ઉપસ્થિત રહી પરેડની સલામી જીલશે. આ જ દિવસે બપોરે વડાપ્રધાન ઉત્તર ગુજરાત માટેના વિવિધ વિકાસકામોનું થરાદ ખાતેથી ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરીને સભાને સંબોધશે.
1લી નવેમ્બરના રોજ સવારે વડાપ્રધાન માનગઢ હિલ રાજસ્થાન ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યાર બાદ જાંબુઘોડા ખાતે વિવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરીને સભાને સંબોધશે અને સાંજે પીએમ મોદી મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી વીડિયો કૉન્ફરન્સના માધ્યમ દ્વારા ૧૮૨ વિધાનસભા મત વિસ્તારના કાર્યકરોને માર્ગદર્શન આપશે તેમ તેમણે ઉમેર્યું હતું.