ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ આમ આદમી પાર્ટી છોડી કોંગ્રેસમાં જોડાતા આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ શુભેચ્છાઓ પાઠવી છે. ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે, ઈન્દ્રનીલ રાજ્યગુરૂ છેલ્લા ઘણાં સમયથી આમ આદમી પાર્ટીમાં જોડાયેલા હતા અને એવી ઈચ્છા ધરાવતા હતા કે, તેઓને આમ આદમી પાર્ટીમાં મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવે અને યેનકેન પ્રકારે આમ આદમી પાર્ટી પર દબાણ કરી રહ્યા હતા. તેમણે ઉમેર્યું કે, આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીના ચહેરા માટે ગુજરાતની જનતા પર વિશ્વાસ મુક્યો હતો અને ગુજરાતની જનતા જે ચહેરો નક્કી કરે તેને મુખ્યમંત્રીના ચહેરા તરીકે પાર્ટી મેદાનમાં ઉતારશે.
ગોપાલ ઈટાલિયાએ વધુ વાત કરતા જણાવ્યું કે, ગુજરાતની જનતાએ ખેડૂત ચહેરા તરીકે ઈસુદાન ગઢવી પર મહોર મારી હતી અને પાર્ટીએ તેમને મુખ્યમંત્રીના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. આ વાત ઇન્દ્રનીલ રાજ્યગુરૂને ન ગમતા તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયા છે. તેમણે એમ પણ આક્ષેપ કર્યો છે કે, ઈન્દ્રનીલ રાજ્યગુરૂ પોતાને 15 ટિકિટ મળે તે માટે પણ દબાણ કરતા હતા, આમ આદમી પાર્ટી ઈન્દ્રનીલ રાજ્યગુરૂની વાતમાં ન આવી કારણ કે, આપ પાર્ટી એ ગુજરાતીઓના પાર્ટી છે માટે તેઓ નારાજ થઇને કોંગ્રેસમાં ફરીથી જોડાઈ ગયા છે. ઈન્દ્રનીલ રાજ્યગુરૂને મુખ્યમંત્રી બનવાની ઈચ્છા પુરી થાય અને કોંગ્રેસ પાર્ટી મુખ્યમંત્રીનો ચહેરો બનાવે તેવી શુભેચ્છાઓ સાથે વીડિયો શેર કર્યો છે.