ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રચાર પ્રસાર તેજ કરી દેવાયો છે ત્યારે અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીની પરિવર્તન યાત્રા આવી પહોંચી હતી, જેમાં મધુસૂદન મિસ્ત્રી સહિતના આગેવાનો આવી પહોંચ્યા હતા. પરિવર્તન યાત્રાનો કાર્યક્રમ બપોરે 12 કલાકનો હતો જોકે હંમેશાની જેમ કાર્યક્રમમાં યાત્રા બપોરે 4 કલાકે આવી પહોંચી હતી, જોકે કાર્યકરો અડીખમ હતા. અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતેથી યાત્રાનો પ્રવેશ થયો હતો જ્યાં સભાને સંબોધવામાં આવી હતી ત્યારબાદ શામળાજી આશ્રમ,જીવણપુર અને ત્યારબાદ મોડાસા પહોંચી હતી.
છેલ્લા ઘણાં સમયથી અરવલ્લી જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીને લઇને ટિકિટને લઇને ચર્ચાઓ ચાલી રહી હતી આ વચ્ચે મોડાસાના ધારાસભ્યની ટિકિટ લગભગ નક્કી જ છે અને તેમની જીત પણ થશે, તેવા સંકેત મધુસૂદન મિસ્ત્રીએ આપ્યા હતા. મોડાસાના મિડલ ટાઉન કોમ્પ્લેક્ષ ખાતે જાહેર સભા યોજાઈ હતી, આ કાર્યક્રમમાં મધુસૂદન મિસ્ત્રીએ સભાને સંબોધી હતી. તેમણે કહ્યું કે, મોડાસાના ધારાસ્યની જીત નિશ્ચિત છે, આ નિવેદનથી એમ કહી શકાય કે તેમની ટિકિટ ફાઈનલ છે.
આ જ કાર્યક્રમમાં બાયડના ધારાસભ્ય જશુભાઈ પટેલ પણ ઉપસ્થિત હતા ત્યારે મીડિયાના સવાલમાં મધુસૂદન મિસ્ત્રીએ જણાવ્યું કે, બાયડ વિધાનસભાની ટિકિટને લઇને મવોડી મંડળ નક્કી કરશે. મીડિયાના સવાલમાં તેમણે જણાવ્યું કે, ત્રણેય બેઠક પર કોંગ્રેસની જીત થશે. બાયડની બેઠકને લઇને ગોળ-ગોળ જવાબ આપતા જણાવ્યું કે, જીતે તેવો ઉમેદવારો હશે, તે ચાલુ પણ હોઈ શકે છે અને નવો પણ હોઈ શકે છે. મીડિયાએ સવાલ કર્યો કે, શું જશુભાઈને ટિકિટ મળશે કે નહીં તેનો જવાબ આપતા જણાવ્યું કે, આ નિર્ણય મવોડી મંડળ નક્કી કરશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં પહેલા શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં ઘરવાપસી કરી હતી અને બાયડ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડે તેવા સંકેતો મળ્યા હતા, જેને લઇને સીટિંગ ધારાસભ્ય જશુ પટેલ છેલ્લા ઘણાં સમયથી નારાજ ચાલી રહ્યા છે. આ વચ્ચે બાયડ બેઠક પર કોને ટિકિટ મળશે તે કહેવું હજુ મુશ્કેલ છે. પણ જો જશુ પટેલને ટિકિટ નહીં મળે તો નારાજગી વધશે તેવી સંભાવનાઓ પુરેપુરી છે.