વિધાનસભાની ચૂંટણીને લઇને આરોપ-પ્રત્યારોનો દોર શરૂ થયો છે. આ વખતની વિધાનસભાની ચૂંટણી ખૂબ જ રસપ્રદ અને ત્રિકોણિયો જંગ બનશે તેવા પણ દ્રશ્યો દિનપ્રતિદિન સામે આવ્યા છે. આ વખતે આમ આદમી પાર્ટી એડીચોટીનુ જોર પ્રચારમાં લગાવી દીધું છે ત્યારે કોંગ્રેસની બેઠકો પર અસર થઇ શકે છે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે, એટલું જ નહીં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કોંગ્રેસને માત્ર 5 બેઠક મળશે તેવું એક મીડિયા સંવાદ કાર્યક્રમમાં જણાવ્યું હતું, જેને લઇને કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો છે.
મોડાસા ખાતે આયોજિત પરિવર્તન યાત્રાને લઇને કોંગ્રેસની જાહેર સભા યોજાઈ હતી, જેમાં મધુસૂદન મિસ્ત્રી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ પૂર્ણ થયા પછી મીડિયાના સવાલમાં આમ આદમી પાર્ટી પર કોંગ્રેસ પ્રહારો કર્યા હતા. મધુસૂદન મિસ્ત્રીએ જણાવ્યું કે, મહિલા જ્યારે હાથમાં બંગડી અથવા તો પાટલા પહેરે છે ત્યારે દર્પણમાં જોવાની જરૂર રહેતી નથી, તેનું પ્રમાણ તો પ્રત્યક્ષ જ મળી જાય છે.
આ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે, આમ આદમી પાર્ટી મૃગજળની જેમ રાચતા માણસો છે અને આવા લોકો જુઠ્ઠા છે. કોંગ્રેસ પાર્ટીએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કરીને જુઠ્ઠાણા ફેલાવતા હોવાનો આક્ષેપ કરતા હવે રાજનીતિમાં ગરમાવો આવી ગયો હોય તેવું લાગે છે.





