વિધાનસભાની ચૂંટણીમાં લોકો પોતાની વ્યથા રજૂ કરતા હોય છે કારણ કે, તેમની સમસ્યાઓનું કોઈ જ સમાધાન થયું હોતું નથી. આવો જ એક કિસ્સો અરવલ્લી જિલ્લામાં સામે આવ્યો છે. જિલ્લાના ધનસુરા તાલુકામાં બિસ્માર રોડને લઇને હવે ગ્રામજનો લડી લેવાના મૂડમાં હોય તેવું સ્પષ્ટ લાગે છે. વડાગામ અને કારોલી તરફનો રોડ કેટલાય સમયથી બિસ્માર બન્યો છે. ક્વોરી ઉદ્યોગને લઇને છાશવારે રોડ તૂટી જવાની ઘટનાઓ ઘટતી હોય છે, જેથી સ્થાનિક લોકોને અવર – જવર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે રસ્તાને લઇને ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.
ધનસુરાથી વડાગામ અને કારોલી તરફના 5 ગામને જોડતો રસ્તો ક્વોરી ઉદ્યોગોના કારણે રસ્તા તુટી ગયા છે. વારંવાર તંત્રમાં રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. ત્યારે વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે વડાગામથી કરોલી તરફના 5 ગામના લોકોએ આજે માર્ગ ચક્કાજામ કર્યો હતો અને રસ્તો ન બને તો આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી. આમ રોડ નહીં તો વોટ નહીંનું સૂત્ર આપી કોઈપણ રાજકીય પાર્ટીને પ્રવેશ પર પણ પ્રતિબંધ ફાર્માવવાનું નક્કી કર્યું છે.