સંવેદના : મેરા ગુજરાતની ધારદાર અસર, 4 બાળકીને સારવાર નહીં આપનાર હોસ્પિટલ સામે કાર્યવાહીની માંગ, ધરણાં પર ઉતરવાની કોંગ્રસની ચિમકી
માલપુર પંથકની 4 વર્ષીય દીકરી સાથે દુષ્કર્મની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે, આ વચ્ચે કરૂણ ઘટના રવિવારના રોજ સામે આવી હતી કે, ઘટના પછી પીડિત દીકરીને હોસ્પિટલ દ્વારા સારવાર આપવામાં પાછી પાની કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાને લઇને મેરા ગુજરાત દીકરીનો અવાજ બનીને લોકો સુધી સાચી હકીકત પહોંચાડતા તંત્ર જાગ્યું છે. આ સમગ્ર ઘટનાને લઇને વાત્રક અને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલને નોટિસ આપવા સહિતની તજવીજ હાથ ધરવામાં આવશે તેવી માહિતી પ્રાપ્ત થઇ છે.
સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને બાયડની વાત્રક અને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. કોંગ્રેસ પાર્ટીનું કહેવું છે કે, દુષ્કર્મનો ભોગ બનેલ બાળકીને તંત્ર સારવાર આપી શકતું નથી, જે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રની ઘોર બેદરકારી છે. જ્યારે પીડિત પરિવાર હોસ્પિટલમાં સારવાર માટે જાય છે ત્યારે તબીબો નથી તેવા બહાના બતાવીને હડધૂત કરી દેવામાં આવે છે. કોંગ્રેસનું એમ પણ કહેવું છે કે, જો પોલિસ તંત્ર સાથે હોય અને પીડિત બાળકીને સારવાર ન મળે તે કરૂણ ઘટના છે. આ સમગ્ર ઘટનાને લઇને જિલ્લા કોંગ્રેસ પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપીને બેદરકારી દાખવતી હોસ્પટલ સામે કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી છે, અને જો બે દિવસમાં કોઇ કાર્યવાહી નહીં થાય તો ધરણાં પર બેસવાની ચિમકી કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
શું કહેવું છે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવારનું સાંભળો
શું હતો સમગ્ર મામલો ?
માલપુરના ગ્રામ્ય વિસ્તારમાં 24 વર્ષીય ગાજર તરીકે પંકાયેલા નરાધમ યુવકે એક પરિવારની 4 વર્ષીય દીકરીને ઘર આગળ ઉંઘી રહેલી હાલતમાં જોતા નરાધમ યુવકના મનમાં વાસનાનો કીડો સળવળતા બાળકીને ખેતરમાં ઉઠાવી જઈ દૂષ્કર્મ આચરી ખેતરમાં તરછોડી ફરાર થઈ ગયો હતો. પરિવારે બાળકીની શોધખોળ કરતા ખેતર નજીક રડતી મળી આવતા અને બાળકી સાથે અઘટીત ઘટના બની હોવાનું જણાઈ આવતા પરિવારજનોની હાલત પગ નીચેથી ધરતી સરકી ગઈ હોય તેવી બની હતી. દુષ્કર્મનો ભોગ બનેલ 4 વર્ષની બાળકીની સારવાર માટે તાત્કાલિક વાત્રક હોસ્પિટલ લઇ જવાઇ હતી જ્યાં તબીબો ન હોવાનું જણાવી દેવાયું હતું, ત્યારબાદ તાત્કાલિક મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ ખાતે લવાઈ હતી, ત્યાંથી પણ એક જ જવાબ મળ્યો હતો કે, સાહેબ નથી. સમગ્ર ઘટનાને લઇને લાચાર માતા-પિતા શું કરે તે કોઇ તે કહેવું કલ્પનાની બહાર છે. આખરે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સિવિલ હોસ્પિટલમાં લઇ જવાઇ હતી, જ્યાં સારવાર મળતા નવજીવન મળ્યું છે.
આ પ્રકારની માનવતાને નેવે મુકતી ઘટનાને ક્યારે પણ સાંખી નહીં લેવાય, આવા કઠણ હ્રદયના તબીબો સામે કે, જેઓ માનવતા નેવે મુકતા હોય તેમની સામે વહીવટી તંત્ર કડક કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે, પણ કાર્યવાહી ક્યારે થાય છે તે પણ જોવું રહ્યું.
