33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines G-20 વિદેશ મંત્રીઓની બેઠકમાં PM મોદીએ કર્યો બુદ્ધ અને ગાંધીનો ઉલ્લેખ, જાણો...

G-20 વિદેશ મંત્રીઓની બેઠકમાં PM મોદીએ કર્યો બુદ્ધ અને ગાંધીનો ઉલ્લેખ, જાણો શું કહ્યું

0
184

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે G-20 દેશોને વૈશ્વિક પડકારો પર સર્વસંમતિ બનાવવા અને ભૌગોલિક રાજકીય તણાવ પરના મતભેદોને એકંદર સહકારને અસર ન થવા દેવા આહ્વાન કર્યું. યૂક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને દેશોના અલગ-અલગ વલણ વચ્ચે વડાપ્રધાને આ નિવેદન આપ્યું છે. G20 વિદેશ મંત્રીઓની બેઠકમાં તેમના વીડિયો સંદેશમાં, વડાપ્રધાન મોદીએ બુદ્ધ અને મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કર્યો અને પ્રતિનિધિઓને વિનંતી કરી કે તેઓ ભારતના સભ્યતાના સિદ્ધાંતોમાંથી પ્રેરણા મેળવે “જે વિભાજનને બદલે એક કરતા મુદ્દાઓ પર ધ્યાન આપવા માટે પ્રેરણા આપે છે.”

પશ્ચિમ અને રશિયા-ચીન વચ્ચે વધતા તણાવ દરમિયાન બેઠક

વિશ્વના સૌથી મોટા ઔદ્યોગિક અને વિકાસશીલ દેશોના વિદેશ મંત્રીઓ બેઠકમાં મુખ્ય વૈશ્વિક પડકારો પર મહત્ત્વપૂર્ણ ચર્ચા કરવા માટે અહીં એકત્ર થયા છે. ઘણા રાજદ્વારીઓ માને છે કે તે વિવાદાસ્પદ હોઈ શકે છે કારણ કે યૂક્રેન સંઘર્ષ પર યુએસની આગેવાની હેઠળના પશ્ચિમ અને રશિયા-ચીન વચ્ચે વધતા તણાવ વચ્ચે આ બેઠક આવી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે વિશ્વ G20થી વૃદ્ધિ, વિકાસ, આર્થિક સ્થિતિસ્થાપકતા, આપત્તિ, નાણાકીય સ્થિરતા, આંતરરાષ્ટ્રીય અપરાધ, ભ્રષ્ટાચાર, આતંકવાદ અને ખાદ્ય અને ઉર્જા સુરક્ષા સંબંધિત પડકારોને ઘટાડવાની આશા રાખે છે.

“તમે બુદ્ધ અને ગાંધીની ભૂમિમાં ભેગા થયા છો”

યૂક્રેન અથવા અન્ય કોઈપણ વિવાદાસ્પદ મુદ્દાનો ઉલ્લેખ કર્યા વિના, વડાપ્રધાન મોદીએ કહ્યું, “G20માં આ તમામ ક્ષેત્રોમાં સર્વસંમતિ બનાવવાની અને નક્કર પરિણામો આપવાની ક્ષમતા છે. આપણે જે મુદ્દાઓ ઉકેલી શકતા નથી, એને એ મામલાઓના સંદર્ભમાં અડચણ ન બનવા દેવા જોઈએ, જેનો આપણે ઉકેલ લાવી શકીએ છીએ.” મોદીએ કહ્યું, “તમે બુદ્ધ અને ગાંધીની ભૂમિમાં એકઠા થયા છો, હું તમને વિનંતી કરું છું કે તમે ભારતની સભ્યતાના સિદ્ધાંતોમાંથી પ્રેરણા લો, જે આપણને વિભાજિત કરતા મુદ્દાઓને બદલે એક થાય તેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રેરિત કરે છે.”

જણાવી દઈએ કે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન, રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ, ચીનના વિદેશ મંત્રી ચિન ગેંગ, બ્રિટનના મંત્રી જેમ્સ ક્લેવરલી અને EUના વિદેશ મામલાના ઉચ્ચ પ્રતિનિધિ જોસેપ બોરેલ ફોન્ટેલ્સ વિદેશ મંત્રી એસ જયશંકરના નેતૃત્વમાં થઈ રહેલી આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!