અરવલ્લી જિલ્લામાં ચકચારી અને કરૂણ દુષ્કર્મની ઘટનામાં બેદરકારી દાખવવા બદલ વહીવટી તંત્ર દ્વારા નોટિસ ફટકારવાની તજવીજ હાથ ધરાઈ છે. 4 વર્ષની બાળકી પર થયેલા દુષ્કર્મની ઘટના પછી બાળકીને તાત્કાલિ સારવાર નહીં આપવાને લઇને સમગ્ર મામલે મેરા ગુજરાતે સમગ્ર ઘટનાને ઉજાગર કરીને તંત્રની કામગીરી લોકો સુધી પહોંચાડી હતી, ત્યારે આ સમગ્ર ઘટનાને લઇને જિલ્લા કોંગ્રેસ પાર્ટી દ્વારા આવેદન પત્ર આપીને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. આ વચ્ચે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક આરોગ્ય વિભાગને કલેક્ટરને આદેશ કરીને વાત્રક અને સાર્વજનિક હોસ્પિટલને નોટિસ આપવા અંગે જાણ કરી હતી.

સમગ્ર ઘટનાને લઇને અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વાત્રક હોસ્પિટલ બાયડ અને સાર્વજનિક હોસ્પિટલ મોડાસાને બેદરકારી દાખવવા બદલ નોટિસ ફટકારી ખુલાસો માંગવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ અંગે અરવલ્લી જિલ્લા આરોગ્ય અધિકારી આર.જી.શ્રીમાળીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, આ સમગ્ર મામલે તમે કેમ બેદરકારી દાખવી છે, અને આ બાબતે ખુલાસો આપવા અંગે નોટિસ ફટકારવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
શા માટે હોસ્પિટલને નોટિસ ?
માલપુરના ગ્રામ્ય વિસ્તારમાં 24 વર્ષીય ગાજર તરીકે પંકાયેલા નરાધમ યુવકે એક પરિવારની 4 વર્ષીય દીકરીને ઘર આગળ ઉંઘી રહેલી હાલતમાં જોતા નરાધમ યુવકના મનમાં વાસનાનો કીડો સળવળતા બાળકીને ખેતરમાં ઉઠાવી જઈ દૂષ્કર્મ આચરી ખેતરમાં તરછોડી ફરાર થઈ ગયો હતો. પરિવારે બાળકીની શોધખોળ કરતા ખેતર નજીક રડતી મળી આવતા અને બાળકી સાથે અઘટીત ઘટના બની હોવાનું જણાઈ આવતા પરિવારજનોની હાલત પગ નીચેથી ધરતી સરકી ગઈ હોય તેવી બની હતી. દુષ્કર્મનો ભોગ બનેલ 4 વર્ષની બાળકીની સારવાર માટે તાત્કાલિક વાત્રક હોસ્પિટલ લઇ જવાઇ હતી જ્યાં તબીબો ન હોવાનું જણાવી દેવાયું હતું, ત્યારબાદ તાત્કાલિક મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ ખાતે લવાઈ હતી, ત્યાંથી પણ એક જ જવાબ મળ્યો હતો કે, સાહેબ નથી. સમગ્ર ઘટનાને લઇને લાચાર માતા-પિતા શું કરે તે કોઇ તે કહેવું કલ્પનાની બહાર છે. આખરે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સિવિલ હોસ્પિટલમાં લઇ જવાઇ હતી, જ્યાં સારવાર મળતા નવજીવન મળ્યું છે. સમગ્ર ઘટનાની વાચા આપવા મેરા ગુજરાત આગળ આવ્યું અને દીકરીના પિતાની આપવિતી લોકો સુધી પહોંચાડતા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું અને આરોગ્ય વિભાગને આટલી મોટી ઘોર બેદરકારી બદલ હોસ્પિટલ સત્તાધિશોને નોટિસ ફટકારવા ટકોર કરી હતી.
હોસ્પિટલની બેદરકારીને લઇને 4 વર્ષીય માસૂમ બાળા તેમજ તેમના પરિવારજનો પર કેવી વિતી હશે તે વિચારવું કલ્પનાની બહાર છે, પણ જિલ્લાના લોકોમાં જાગૃતતાથી દીકરીને ન્યાય મળવાની આશા બંધાઈ છે, સમગ્ર ઘટનાને લઇને પોલિસ દ્વારા સરાહનીય કામગીરી કરાઈ હતી, પણ વહીવટી તંત્રની ગોર બેદરકારીની ટીકાઓ પણ લોકો કરી રહ્યા છે.
