ઉનાળાના આરંભે પાણીનો કકળાટ શરૂ થયો છે. પાલિકાએ પાણીની સમસ્યાના નિકાલ માટે શરૂ કરેલા કંટ્રોલ રૂમમાં 5 દિવસમાં 417 ફરિયાદ આવી હતી. આ સંજોગોમાં દૂષિત પાણીને શુદ્ધ કરી ફરીથી ઉપયોગમાં લેવાય તો સમસ્યાનો મહદંશે ઉકેલ આવી શકે છે. 22 માર્ચે વિશ્વ જળ દિવસની ઉજવણી કરાશે ત્યારે મ.સ.યુનિ.નાં આસિ. પ્રોફેસરે દૂષિત પાણીને શુદ્ધ કરી પુન: ઉપયોગ અંગે રિસર્ચ કર્યું હતું.
ટેક્નોલોજી ફેકલ્ટીના ડિપાર્ટમેન્ટ ઓફ એપ્લાઇડ કેમિસ્ટ્રીનાં આસિ. પ્રોફેસર ડો.કુમારી નીકિતાએ વોટર પ્યૂરિફિકેશન પર રિસર્ચ કરી પીએચડી કર્યું છે. તેમણે ટેક્નોલોજી ફેકલ્ટીના ડીન પ્રો.સી.એન.મૂર્તિના માર્ગદર્શન તેમજ પીએચડી વિદ્યાર્થી પ્રિયંકા મિસ્ત્રી, દિક્ષિતા પ્રજાપતિ અને કૃતિ પરાડકરે સહયોગથી પીએચડી પૂર્ણ કર્યું છે. ડો.કુમારી નીકિતાએ કહ્યું કે, મેં પાણીને શુદ્ધ કરવા પોલીમર મેમબ્રેન શીટનો ઉપયોગ કર્યો છે. જે આરઓમાં હોય છે. પ્રથમ હેવી મેટલ જે પાણીને અશુદ્ધ કરે છે તેવું પાણી મીઠાનો ઉપયોગ કરી તૈયાર કર્યું. એ પછી મેમબ્રેનથી તેની શુદ્ધતા ચેક કરી. 3-4 પ્રયત્નો પછી સારું પરિણામ મળ્યું, જેમાં પાણીમાંથી 92 ટકા રજકણ દૂર થયા હતા. મને આ રિસર્ચ કરતાં 4 વર્ષ લાગ્યાં હતાં.
