અરવલ્લી જિલ્લામાં સાયબર ક્રાઈમની ઘટનાઓ સતત ઘટી રહી છે આ વચ્ચે એક એવી ઘટના સામે આવી છે, જેમાં અમેરિકાની એક તબીબ સામે મોડાસા ટાઉન પોલિસ મથકે ગુનો નોંધાયો છે. અરવલ્લી જિલ્લામાં હાલ લાઈટ બીલ ભરવાના કોલ આવતા હોય છે અને ત્યારબાદ તેમના ખાતામાંથી પૈસા બારોબાર ઉપાડી લેવાની ઘટનાઓ થતી હોય છે પણ સાબયર ક્રાઈમના માસ્ટર માઈન્ડ એવા નવા નવા પેંતરા અપનાવતા હોય છે કે, ભલભલા માથું ખંજવાળતા રહી જાય અને આવા ઠગ સુધી પોલિસનું પહોંચવું કદાચ મુશ્કેલ બની જાય.
અરવલ્લી જિલ્લાના મોડાસામાં રહેતા મોહમ્મદ રોહિલ શકીલરાજા દધાલિયાવાળા સાથે ઓનલાઈન ખરીદી કરવાને લઇને ઠગ ટોળકીયે 5.70 લાખ પડાવી લેતા મોડાસા ટાઉન પોલિસમ થકે ફરિયાદ નોંધાઈ છે, જેમાં એક અમેરિકાના તબીબ મુખ્ય સુત્રધાર છે. મોડાસા ટાઉન પોલિસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, ફરિયાદી ગો ફોર વર્લ્ડના સભ્ય હોવાથી તેમના ઈમેઈલ પર ડો. મેલીસા અમેરીકાવાળાએ ધંધાકિય મેસેજ કર્યો હતો. આ મેસેજમાં મેડીસીન રોડ મટિરિયલ્સ એક લીટર દવા આરોપી કિષ્ણા એન્ટરપ્રાઈઝના લક્ષ્મીકુમાર પાસેથી ખરીદી કરવા માટે જણાવ્યું હતું, આ માટે 10 ટકા કમિશન ડો. મેલીસા અમેરીકાવાળાને આપવાનું રહેશે તેવું જણાવી ફરિયાદી મોહમ્મદ રોહિલ શકીલરાજાને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ ફરિયાદીને દવાની સામે રૂપિયા 5 લાખ 70 હજાર સંજીવકુમાર અને પવનકુમારના ના બેંક ખાતામાં આરટીજીએસ કરાવવા જણાવ્યું હતું.
વાત એટલે થી નથી અટકતી, પણ અમેરિકાના તબીબ ઠગે જણાવ્યું કે, 1 લીટ દવા નહીં ચાલે વધુ 4 લીટર દવા લેવી પડશે, ત્યારે ફરિયાદીએ દવા લેવાની ના પાડી અને ત્યારબાદ તમામ આરોપીઓએ પોતાના મોબાઈલ બંધ કરી ફરિયાદીને તેમના નાણા પરત ન કરતા મોડાસા ટાઉન પોલિસ મથકે ફરિયાદ નોંધાઈ છે. મોડાસાના વેપારી સાથે 5.70 લાખની ઓનલાઈન ઠગાઈ થતાં મોડાસા ટાઉન પોલિસે કુલ ચાર ઠગ સામે આઈ.પી.સી. કલમ 406,420,114 તેમજ આઈ.ટી. એક્ટ 66(સી),(ડી) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વેપારી સાથે ઠગાઈ કરનાર 4 આરોપીઓ
1. ડો. મેલીસા અમેરીકાવાળા
2. લક્ષ્મીકુમાર, કિષ્ણા એન્ટરપ્રાઈઝ
3. સંજીવકુમાર
4. પવનકુમાર
સતત સાયબરક્રાઈમની ઘટનાઓ વચ્ચે આ ઠગાઈની ઘટનાને લઇને ભારત બહારની વ્યક્તિ સામે ગુનો નોંધાતા હવે આ ઠગ કેવી રીતે પોલિસના હાથે લાગશે તે એક સવાલ છે, હાલ તો પોલિસે આ સમગ્ર ઘટનાને લઇને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
સાયબર ફ્રોડ કરનાર અને ઓનલાઈન છેતરપિંડી કે ઠગાઈ કરનાર ટોળકી મોટાભાગે યુવતીઓનો સહારો લેતા હોય છે, જેથી તેમની વાતોમાં ભોળવીને મોટાભાગના લોકો છેતરાઈ જતાં હોય છે પણ એકવાત ચોક્કસથી યાદ રાખવી કે, સતર્કતા ખૂબ જ જરૂરી છે.