આજકાલ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર – રાજસ્થાનના માર્ગે મોતની સવારી લઈ પેસેન્જર વાહનો બેરોકટોક દોડી રહ્યાં છે. સ્થાનિક પોલીસ અને તંત્ર ની રહેમ નજર હેઠળ દોડી રહેલાં આવા વાહનોમાં ખીચોખીચ પ્રવાસીઓ ભરીને આવનજાવન કરાવાય છે પણ કાયદો વ્યવસ્થા તંત્રના હાકેમો મુક પ્રેક્ષક બનતા અને એસટી તંત્ર બસ સેવા આપવામાં વામણું પુરવાર થતા નિર્દોષ લોકોને જાનના જોખમે આવા ખાનગી વાહનોમાં બેસવા લોકોને મજબુર બનવુ પડી રહ્યું છે.
વિજયનગરના રાણી રોડ પર પણ મોતની સવારીના વાહનો આમ જ બેફામ દોડતાં રહે છે. તમામ જીપમાં ઢોરની જેમ 40 થી વધુ મુસાફરો લઈ વિજયનગર અને રાજસ્થાન વચ્ચે આવા વાહનો દિવસમાં અનેકવાર આવનજાવન કરતા હોવ છતાં પોલીસ કે આરટીઓની સીમા અહીં પુરી થતી હોય તેમ કોઈ જ પગલાં લેવાતાં નથી. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ.એવો સવાલ જનતા પૂછી રહી છે.
