મોરવા હડફ,પંચમહાલ
મોરવા હડફ તાલુકાના રામપુર ગામના કોરાનાકાળ વખતે ગુમ થયેલા ઈસમ સોશિયલ મિડિયાના માધ્યમથી મળી જતા પરિવારજનોમાં ખુશી વ્યાપી જવા પામી છે. ત્રણ વર્ષ પહેલા રાજસ્થાનના રણુજાથી ગુમ થયેલા ઈસમ ભુપતસિંહ પશ્ચિમ બંગાળના કોલકાતાથી મળી આવ્યા છે. સોશિયલ મિડીયા પર સામાજીક સંસ્થાની સેવાનો વાયરલ થયેલા એક વિડિયાનો માધ્યમથી તેમની ભાળ મળી હતી. સોશિયલ મિડીયા ફરી એકવાર પોતાના પરિવારથી વિખુટા પડેલા સભ્યને મિલન કરાવામાં મહત્વની ભુમિકા ભજવી છે.સાથે પરિવારજનોની આર્થિક સ્થિતી સારી ન હોવાથી ગ્રામજનો અને સામાજીક અગ્રણીઓ તેમજ રાજકીય અગ્રણીઓ દ્વારા ફાળો એકત્ર કરીને પરિવારજનોના સભ્યોને આપવામા આવ્યો હતો. અને તેઓ કોલકાતા જવા રવાના થયા હોવાની વિગતો સાંપડી છે.
પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકા રામપુર ગામના રહીશ ભુપતસિંહ ત્રણ વર્ષ પહેલા પોતાના પરિવારના સભ્યો સાથે રાજસ્થાનના રણુંજા ખાતે ગયા હતા. રણુંજાથી અકસ્માતે છુટા પડી જતા તેમના પરિવારજનો દ્વારા તેમની શોધખોળ શરૂ કરી હતી.અને તે મળી આવ્યા ન હતા.પરિવારજનો તેમના ગુમ થવાની જાણ પોલીસને પણ કરી હતી.પણ તે અરસામાં જ લોકડાઉન શરૂ થઈ જતા તેમને શોધવુ અઘરુ બન્યુ હતુ. જ્યાં “દેવદૂત” તરીકે સેવા કરતી ડિપ્રેશન રીલીફ ચેરીટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકોને પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતે ભુપતભાઈ અશક્ત અવસ્થામાં મળી આવતાં તેઓ દ્વારા પોતાના આત્મીય વડીલની જેમ સેવા ચાકરી કરી તેઓને પરિવારજનો સુધી પહોંચાડવા માટે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વિડિયો અપલોડ કરવામાં આવ્યો હતો, બે ત્રણ દિવસથી સોશિયલ મિડિયામાં કોલકાતાની એક સામાજીક સંસ્થાનો વિડિયો વાયરલ થયો હતો.જે વિડીયોમાં ઈસમની સેવા કરી રહ્યા હતા તે ઈસમ ગુમ થયેલા ભુપતસિંહ હોવાની તેમના પરિવારજનોને જાણ થઈ હતી,અને કોલકાતાની સામાજીક સંસ્થાનો પણ સંપર્ક કરવામા આવ્યો હતો. બીજી તરફ તેઓના પરિવારની આર્થિક સ્થિતી સારી ન હોવાથી તેઓ દ્વારા મદદ માટે હાથ લંબાવવામાં આવ્યા હતા, ગ્રામજનો તેમજ જિલ્લાના વિવિધ રાજકીય અગ્રણીઓ આગળ આવ્યા હતા, સામાજિક તેમજ રાજકીય આગેવાનોએ ભેગા મળીને ફંડ એકઠું કરીને રામપુર ગામના વતની એવા ભૂપતભાઈને ઘરે લાવવાની તજવીજ હાથ ધરી છે, ભૂપતભાઈને પરત વતન લાવવા માટે તેઓના પરિવારજનો કોલકાતા જવા રવાના થયા હતા, ત્યારે ભૂપતભાઈ સાડા ત્રણ વર્ષ બાદ ઘરે પરત આવવાને પગલે નાનકડા એવા રામપુર ગામે ખુશીની લહેર પ્રસરી ગઇ છે.