અરવલ્લી જિલ્લામાં વનવિભાગના અધિકારીઓ ભ્રષ્ટ હોવાનો પર્દાફાશ થયો છે. સાબરકાંઠા જિલ્લા ACB ની ટીમએ ધનસુરાના લાંચિયા RFO ને લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો છે.અરવલ્લી જિલ્લાના વનવિભાગમાં છેલ્લા કેટલાય સમયથી ભ્રષ્ટાચારની બુમો ઉઠી રહી હતી, તેમ છતાં ઉચ્ચ અધિકારીઓ મગનું નામ મરી પાડવા તૈયાર નહોતા, પણ હવે પાપ છાપરે ચઢીને પોકારતા, વનવિભાગનો અધિકારી ACB ના સકંજામાં આવી ગયો છે.
બનાવની વિગત એવી છે કે, ફરિયાદી પોતાની પત્નીના નામે ‘જય મહાકાલી સખી મંડળ’ ગૃપ નર્સરીમાં રોપાઓનું વાવેતર કરતા હોય તેઓના ખાતામાં ફોરેસ્ટ વિભાગ તરફથી પ્રથમ બે હપ્તાના રૂ. 66,500/- ફરિયાદીના “જય મહાકાલી સખી મંડળ” ના ખાતામાં પડેલ હોય આ કામના આરોપી હિતેન્દ્ર મુકેશભાઈ ફૂલેત્રા, ફોરેસ્ટ ઓફિસર ફરિયાદીને બોલાવી વચેટિયા આરોપી મારફતે રૂ.30,000/- ની લાંચની માંગણી કરતા ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ના હોય ફરિયાદીએ સાબરકાંઠા એ.સી.બી. પો.સ્ટે. હિંમતનગર ખાતે આવી ફરિયાદ આપતા ફરિયાદ આધારે છટકું ગોઠવી વડાગામ ખાતે આવેલ ચિત્રકલા સ્ટુડીયો ની આગળ ચાની કીટલી ઉપરથી રંગે હાથ ઝડપી પાડવામાં સફળતા મળી છે.
આરોપી – 1. હિતેન્દ્ર મુકેશભાઈ ફૂલેત્રા, ફોરેસ્ટ ઓફિસર, ધનસુરા વર્ગ-2આ
રોપી- 2 દેસાઈ વિક્રમભાઈ સાહરભાઈ,કાયમી રોજમદાર, વર્ગ-4, વિરાંજલી નર્સરી નવલપુર તા.ધનસુરા જી.અરવલ્લી
આરોપી-3. પરમાર રમેશભાઈ મંગાભાઈ, કાયમી રોજમદાર, વર્ગ-4, વીરાંજલી નર્સરી, નવલપુર તા.ધનસુરા જી.અરવલ્લી
છેલ્લા ઘણાં સમયથી અરવલ્લી જિલ્લામાં ગુલાબી નોટો લઇને લાકડાની ગાડીઓ પસાર કરાવવાનો કારોબાર ચાલી રહ્યો હોવાની વાતોએ જોર પકડ્યું હતું, તેમ છતાં ઉચ્ચ અધિકારીઓના પેટનું પાણી પણ નહોતું હલતું પણ હવે એસીબીએ સપાટો બોલાવીને લાંચિયા અધિકારીને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડતા મોડાસા, ભિલોડા, શામળાજી, મેઘરજ, માલપુર અને બાયડના RFO તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
જિલ્લામાં વનવિભાગે જંગલોનું નિકંદન કાઢીને લાખો-કરોડો રૂપિયા બનાવી લીધા હોવાની લોકચર્ચા વેગવંતી થઇ હતી, પણ કોઇ માનવા તૈયાર નહોતુ કે વનવિભાગના અધિકારીઓ લાંચ લે છે. ACB ની ટ્રેપથી હવે સ્પષ્ટ થયું છે કે, વનવિભાગમાં ખુલેઆમ ભ્રષ્ચાચાર ચાલી રહ્યો છે અને લાંચ પણ ખુલેઆમ લેવાઈ રહી છે. ધનસુરા વનવિભાગનો લાંચિયા RFO અધિકારી ACB ના સકંજામાં આવી અન્ય અધિકારીઓમાં ચર્ચાએ જોર પકડ્યું છે કે, આપણે શું કરીશું ?
એસીબીની ટીમે હવે તમામ અધિકારીઓની મિલકત પણ તપાસ કરવી જોઇએ કે, બીજા કેટલા અધિકારીઓએ લાંચના રૂપિયાથી પોતાના ઘર ભર્યા છે.
