પંચમહાલ જિલ્લાના ખોજલવાસા ગામના નાયબ સુબેદારને પોતાની બહાદુરીથી આર્મી ઓપરેશનમાં આતંકવાદીઓનો સફાયો કરવા બદલ રાષ્ટ્રપતિના હસ્તે શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ખોજલવાસા ગામના નાયબ સુબેદારને રાષ્ટ્રપતિ ભવન ખાતે શૌર્યચક્રથી સન્માનીત કરવામાં આવતા સમગ્ર જિલ્લાનું ગૌરવ વધ્યું છે, પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ખોજલવાસા ગામે રહેતા સંજયકુમાર ભમ્મરસિંહ બારીયા ભારતીય આર્મીની મ્હાર રેજીમેન્ટની 21 મી બટાલિયનમાં નાયબ સુબેદાર તરીકે ફરજ બજાવે છે, ગત ૧૨ જૂન ૨૦૨૩ ના રોજ જમ્મુ કાશ્મીરના કુપવાડામાં ચારથી પાંચ જેટલા આતંકવાદીઓએ ઘૂસણખોરી કરી હોવાની ગુપ્ત માહિતી ભારતીય આર્મીને મળી હતી, જેના ઓપરેશન માટે સેનાએ એક ખાસ ટીમ બનાવી હતી,જેમાં પંચમહાલ જિલ્લાના સંજયકુમાર બારિયાનો સમાવેશ કર્યો હતો, ભારતીય સેનાએ જંગલમાં ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં સંજયકુમાર બારિયાએ ગાઢ જંગલમાં પોતાની આગવી સૂઝબૂઝથી આતંકવાદીઓ નજીક પહોંચ્યા હતા, જેમાં પોતાની બહાદુરીની ઓળખાણ આપતા સંજયકુમાર બારીયાએ ૧૨ દિવસ સુધી ચાલેલા ઓપરેશનમાં એક કટ્ટર આતંકવાદીને ઠાર માર્યો હતો, જેની ભારતીય આર્મી સહિત દેશના ગૃહ વિભાગ દ્વારા ખાસ નોંધ લેવામાં આવી હતી.ત્યારે નાયબ સુબેદાર બારીયા સંજયકુમારને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના હસ્તે શૌર્ય ચક્ર એનાયત કરીને તેઓની બહાદુરીનું સન્માન કરવામાં આવ્યું હતું, સાથે જ બારીયા સંજયકુમારે પંચમહાલ જિલ્લાની સાથે સાથે સમગ્ર ગુજરાત અને ભારતીય આર્મીની મ્હાર રેજીમેન્ટનું ગૌરવ વધાર્યું છે.
