આસો સુદ એકમ થી નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ હર્ષોલ્લાસ સાથે નવરાત્રી નો શુભારંભ કરવામાં આવ્યો હતો. મોડાસા શહેરના રમઝટ નવરાત્રી મહોત્સવ તેમજ રામપાર્ક નવરાત્રી મહોત્સવનો રાજ્ય કક્ષાના મંત્રી ભિખુસિંહ પરમાર પ્રારંભ કરાવ્યો હતો. આ વર્ષે નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ ને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે પ્રકારના આયોજકો દ્વારા કરવામાં આવેલા આયોજનને લઇને, મંત્રીએ ખુશી વ્યક્ત કરી હતી, સાથે જ ગૃહરાજ્ય મંત્રીએ નવરાત્રીના સમય અંગે આપેલી જાણકારીને પણ, મંત્રી ભિખુસિંહ પરમારે આવકારી હતી.
મોડાસાના રમઝટ નવરાત્રી મહોત્સવ શુભારંભ કાર્યક્રમ પૂર્ણ થયા પછી, મોડાસાના રામપાર્ક નવરાત્રી મહોત્સવમાં મંત્રી તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા હતા, જ્યાં દેવરાજધામના ગાદિપતિ ધનગિરિ મહારાજ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંતો-મહંતોની વિશેષ ઉપસ્થિતિમાં રામપાર્ક નવરાત્રનો રંગારંગ પ્રારંભ થતાં જ ખેલૈયાઓમાં ખુશીની લહેર પ્રસરી હતી.
નવરાત્રી મહોત્સવને લઇને અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિકે, માં જગદંબાની આરાધનામાં જોડાવા ખેલૈયાઓને અપીલ કરી હતી, તો જિલ્લામાં લોકોની સુરક્ષા વ્યવસ્થા અંગે જિલ્લા પોલિસ વડાએ, પોલિસ બંદોબસ્ત અંગે પણ જાણકારી આપી હતી. આ સાથે જ રોમિયોગિરી કરનાર અસામાજિક તત્વોને ઝડપી પાડવા માટે શી ટીમ સતત નજર રાખશે.
આ પ્રસંગે જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીક, જિલ્લા પોલિસ વડા શૈફાલી બારવાલ, જિલ્લા વિકાસ અધિકારી દીપેન કેડિયા સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ મોડાસા નગર પાલિકાના પ્રમુખ નીરજ શેઠ, બાયડના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા..
