ખ્યાતિ હોસ્પિટલ કાંડ અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચ ટીમે મોડી રાતે અમદાવાદ એરપોર્ટ પરથી ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર કાર્તિક પટેલને ઝડપી પાડ્યા હતા. તે છેલ્લા ઘણાં મહિનાઓથી ફરાર હતા.
ઉલ્લેખનીય છે કે આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચ અનેક લોકોની ધરપકડ કરી ચૂકી છે. જોકે મુખ્ય આરોપી ગણાતા ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર જ ઘણાં સમયથી ફરાર ચાલી રહ્યા હતા. તે વિદેશ નાસી ગયાની માહિતી હતી. જોકે આખરે અમદાવાદ પોલીસને તેને ઝડપી પાડવામાં સફળતા મળી.
લુકઆઉટ નોટિસ જાહેર કરાઈ હતી
મહત્ત્વનું એ છે કે ખ્યાતિ હોસ્પિટલમાં નિર્દોષ નાગરિકોના ટપોટપ મોત બાદ ખ્યાતિ ગ્રૂપના ડિરેક્ટર અને ચેરમેન સામે તપાસ હાથ ધરી હતી. જેના બાદથી કાર્તિક પટેલ વિદેશ રફુચક્કર થઈ ગયો હતો. તેણે આગોતરા જામીન માટે અરજી પણ કરી હોતી જોકે તે ફગાવી દેવાતા આખરે આત્મસમર્પણ કરવા સિવાય તેની સામે કોઈ વિકલ્પ રહ્યો નહોતો તેવું લાગી રહ્યું છે.
ક્રાઈમ બ્રાન્ચે કર્યો હતો મોટો ખુલાસો
થોડા દિવસો પહેલા ખ્યાતિ હોસ્પિટલકાંડ કેસની તપાસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટો ખુલાસો કર્યો હતો. જેમાં ખ્યાતિ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ છેલ્લાં ત્રણ વર્ષમાં 3842 ઓપરેશન કરવામાં આવ્યાની માહિતી અપાઈ હતી અને તેમાં 112 દર્દીઓના ઓપરેશન દરમિયાન કે ત્યારબાદની સારવાર દરમિયાન મોત નિપજ્યાનો દાવો કરાયો હતો.
