અરવલ્લી DILR માં દલાલોને પ્રવેશ બંધ આવા બોર્ડ માત્ર નામ પુરતા રહ્યા
અરવલ્લી જિલ્લાના રેવન્યુ વિભાગની કામગીરી ચર્ચાઓમાં આવતી હોય છે, હાલમાં જ ફેન્સિંગ કરવાને લઇને ખેડૂતો નકશા સહિત વિવિધ દસ્તાવેજો લેવા માટે અરવલ્લી જિલ્લા DILR કચેરીએ પહોંચતા હતા, જોકે અહીં તેમને કેવો અનુભવ થતો હતો, તે કદાચ સર્વે કરવો જોઈએ. અહીં તો દબદબો તો માત્ર દલાલો અને બિલ્ડરોનો છે, કારણ કે, તેમની ભરપૂર આગતા સ્વાગતા થાય અને ખુરશી જોઈએ તો ખુરશી પણ મળી જતી હોય છે.
સરકારી કચેરીઓમાં કે જ્યાં લીલોતરી રહેતું હોય, ત્યાં પાટિયા કે સ્ટીકર લગાવાતા હોય છે કે, અહીં દલાલોનો પ્રવેશ નથી અથવા તો દલાલોએ પ્રવેશ કરવો નહીં, પણ આવા સ્ટીકર લગાવ્યા પછી, પાલન થાય છે ખરું તે ? અહીં તો બધુ જ ચાલે છે કારણ કે, તેમના વિના તો મારા વ્હાલાઓને ચાલતું જ નથી. દલાલ કે બિલ્ડર આવે તો કર્મચારીઓ અને સર્વેયર તો ગોળ-ગોળ થઈ જતાં હોય છે કારણ કે, મહેમાન કહેવાય પણ જો અરજદાર કામ માટે આવે તો, તેમનું વર્તન બદલાઈ જાય છે.
અહીં કામગીરી કરવા માટે રીતસરનો ભાવ પણ બોલાય છે, અહીં અરજદારોને સીધી રીતે જવાબ આપવામાં પણ અહીંના સરકારી બાબુઓને જીભ પર ભાર લાગે છે. અહીં અરજીઓ કેટકેટલા સમયથી મુકી રખાય છે, કેટલાક અરજદારોની તો અરજી જ ખોવાઈ જાય છે. બે દિવસ પહેલા એક અરજદારે 8 મહિના અગાઉ કોઈકામ માટે અરજી આપી હતી, ધક્કા ખાઈને કંટાળી ગયા હતા. આખરે ખૂણામાં મળેલા પોટલામાંથી અરજી મળી હોવાની વાતો વહેતી થઈ છે. અહીં તો અરજદાર કંઈ પૂછે તો, સીધા તત્વ કોમ્પ્લેક્ષમાં જાઓ બધી માહિતી મળી જશે, તેવા જવાબ તો સર્વેયર આપતા હોય છે. ભાઈ સરકારે તત્વ કોમ્પેક્ષમાં મોકલવા તમને નથી મોકલ્યા. અહીંના સર્વેયર તેમજ કર્મચારીઓની દલાલો સાથે સાંઠગાંઠ હોય છે, જેથી તેઓ વધારે મજબૂત બની ગયા છે, જેથી નાના અરજદારોના કામ કરવામાં તેમને રસ રહ્યો નથી. અરજદારોએ હવે અરવલ્લી DILR કચેરીના આળસુ અને કામચોર કર્મચારીઓ સામે અવાજ ઉઠાવવો પડશે, જેથી તેમના શીન ઠેકાણે આવશે.
ટૂંક સમયમાં – વિભાજનનું વિજ્ઞાન, વાંચતા રહો, મેરા ગુજરાત
