અરવલ્લી જિલ્લામાં ફટાકડાની દુકાનોમાં તંત્રની તપાસ કે ખાનાપૂર્તિ ?
મોડાસાના બસ સ્ટેશન જેવા ભરચક વિસ્તારમાં ધમધમતી ફટાકડાની દુકાનો
નાની ગલીમાં પણ ફટાકડાની દુકાનો !!
અહીં કોઈ દુર્ઘટના સર્જાય તો કોણ કોને બચાવે તે સવાલ?
બસ સ્ટેશન નજીક ગલીમાં ફાયર ફાઈટર કેવી રીતે જાય?
બનાસકાંઠાના ડીસામાં કથિત ફટાકડા ફેક્ટરીમાં આગ લાગવાની ગોઝારી ઘટનાના પડઘાં સમગ્ર રાજ્યમાં પડ્યા છે. ઘટનામાં 20 થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે આ ઘટના બાદ કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલું તંત્ર જાણે કે, સફાળું જાગ્યું હોય તે રીતે સમગ્ર રાજ્યમાં ફટાકડાની દુકાનો તેમજ ગોડાઉનમાં તપાસ હાથ ધરી છે. આવો જ ઘાટ અરવલ્લી જિલ્લામાં ઘડાયો હતો, અહીં વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલા ફટાકડાના ગોડાઉન અને દુકાનોમાં તપાસ હાથ ધરી હતી. અહીં ખાનાપૂર્તિ તપાસ થઈ હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રએ પણ ઘટનાના બે દિવસ બાદ જિલ્લાના મોડાસા ખાતે આવેલી ૩36 જેટલી ફટાકડાની દુકાનો અને ગોડાઉનોમાં તપાસ કરી હતી. મોડાસા પ્રાંત અધિકારી તેમજ તેમની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ગોડાઉન તેમજ દુકાનોમાં ફટાકડા સંગ્રહ માટેના પરવાના તેમજ ફાયર સેફટીના સાધનો અંગે જીણવટભરી તપાસ કરી હતી. મોડાસા ખાતે કેટલાક પરવાનેદારોને જાણે કે, અગાઉ થી જાણ થઇ ગઈ હોય તેમ દુકાનો બંધ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવું જોવા મળ્યું હતું.
અરવલ્લી જિલ્લામાં વિવિધ ફટાકડાના વેપારીઓને કેટલો જથ્થો રાખવાની મંજૂરી મળી છે અને કેટલો જથ્થો રાખવામાં આવી રહ્યો છે, તે બાબતે તપાસ કરવામાં આવી હશે કે કેમ, તે પણ એક સવાલ છે. એટલું જ નહીં મોડાસાના ભરચક વિસ્તાર એવા જુના બસ સ્ટેશન વિસ્તારમાં ગલીઓમાં ફટાકડાની દુકાનો ચાલી, અહીં રોજિંદા હજારો લોકોની અવર-જવર રહે છે, અહીં મુખ્ય એક જ માર્ગ છે, જો કોઈ દુર્ઘટના સર્જાય તો ફાયર ફાઈટર કેવી રીતે અંદર જાય અને અંદર સોસાયટીમાં રહેતા લોકો બહાર કેવી રીતે આવી શકે તે એક સવાલ છે.
