જમ્મુ કાશ્મીરના પહલગામ માં થયેલા આતંકી હુમલાને લઇને કેન્દ્ર સરકાર સતત કાર્યવાહી કરી રહી છે. પાકિસ્તાનીઓના વીઝા રદ્દ કરીને તમામને પરત મોકલી દેવાયા છે, તો બીજી બાજુ દેશમાં ગેરકાયદે બાંગલાદેશી ઘૂસણખોરોને પણ શોધવાની તજવીજ શરૂ કરી છે. ગુજરાત સરકારે મંગળવાર સવારથી જ અમદાવાદના ચંડોળા વિસ્તારમાં બૂલડૉઝર એક્શન શરૂ કરી દીધી છે. અહીં મોટાપાયે ગેરકાયદે રહેતા
કથિત બાંગ્લાદેશીઓની ઝૂંપડપટ્ટીઓને તોડી પાડવામાં આવી રહી છે. બાંગ્લાદેશી ઘૂસણખોરોના સૌથી મોટા અડ્ડા સમાન ચંડોળા તળાવમાં મેગા ડિમૉલિશનમાં એએમસીએ પહેલાથી જ પ્લાન તૈયાર કરી દીધો હતો. માહિતી પ્રમાણે, ચંડોળા તળાવ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરીમાં એએમસીએ 60 JCB અને 60 ડમ્પરને કામ લગાવ્યા છે, એટલું જ નહીં કોઇ અઘટીત ઘટના ના બને તે માટે 2000થી વધુનો પોલીસ કાફલો પણ ઠેર ઠેર તૈનાત કરવામાં આવ્યો છે.
ચંડોળા તળાવ વિસ્તારમાં તંત્ર દ્વારા મેગા ડિમૉલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા અધિકારીઓ દ્વારા ડિમોલેશન સ્થળ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મકાનોના તાળા તોડીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ઘુસણખોરોના મકાનોમાં ડિમૉલેશન પહેલા શંકાસ્પદ વસ્તુઓને લઈને ચેકિંગ હાથ ધરાયું છે. વિસ્તારમાં 60 JCB અને 60 ડમ્પર સાથે ડિમોલેશન કાર્યવાહી હાથ ધર્મ આવી છે. અહીં 2 હજારથી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે અને સાથે જ AMCની હેલ્થની ટીમ પણ સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે.
અમદાવાદના દાણીલીમડા રોડ પર આવેલું ચંડોળા તળાવની આસપાસનો વિસ્તાર મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે. ચંડોળા તળાવની આસપાસનો વિસ્તાર 1200 હેક્ટર જમીન પર ફેલાયેલો છે. ચંડોળા તળાવ વિસ્તારમાં પશ્ચિમ બંગાળથી આવીને વસેલા મુસ્લિમો વર્ષોથી રહે છે. આ લોકોની વચ્ચે કેટલાક બાંગ્લાદેશી મુસલમાનો પણ રહે છે. ચંડોળા તળાવ ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે પણ જાણીતું છે. અહીંની તમામ નાની સાંકડી ગલીઓ ગંદકીથી ખદબદતી રહે છે. કેટલીક ગલીઓ તો એટલી સાંકડી છે કે સાઈકલ પણ ન જઈ શકે.
