આઈપીએલ 2025માં પ્રથમ વખત ચેમ્પિયન બનેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB)ની ટીમનું બેંગલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સન્માન સમારોહ શરૂ થયો છે. આ પહેલા કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ વિધાનસભામાં ટીમનું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત વિધાનસભા પહોંચ્યા હતા. આરસીબીના તમામ ખેલાડીઓ અને સ્ટાફને મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ શુભેચ્છાઓ પાઠવી હતી.
ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે યોજવા જઈ રહેલા આરસીબીના સન્માન સમારોહમાં સામેલ થવા ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. મોટી સંખ્યામાં ચાહકો સ્ટેડિયમમાં અંદર ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હોવાથી નાસભાગ મચી હતી. જેમાં સાત લોકોના મોત થયા છે. 25થી વધુ લોકો ઘાયલ થયા છે. બેંગ્લુરૂમાં વરસાદ પણ શરૂ થઈ ચૂક્યો છે. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 6 વાગ્યે આરસીબીનો સન્માન સમારોહ યોજાવાનો છે.
નાયબ મુખ્યમંત્રી ઘટના સ્થળે પહોંચ્યા
સ્ટેડિયમની નજીક થયેલી નાસભાગમાં લોકોના મોત પર દુઃખ વ્યક્ત કરતાં કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે જણાવ્યું હતું કે, અત્યારસુધી મૃતકો અને ઘાયલો ની ચોક્કસ સંખ્યાની ખાતરી થઈ નથી. પરંતુ હું ઘટના સ્થળે પહોંચી રહ્યો છું. સુરક્ષા અને ભીડને નિયંત્રિત કરવા માટે 5000થી વધુ પોલીસ સ્ટાફ તૈનાત હોવાનું પણ જણાવ્યું છે.
ખેલાડીઓ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પહોંચ્યા
ઓપન-ટોપ બસ પરેડ રદ થતાં ખેલાડીઓ વિધાન સભાથી સામાન્ય બસમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ પહોંચ્યા છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પણ સ્ટેડિયમ પહોંચ્યા છે. સ્ટેડિયમમાં ભવ્ય ઉજવણી ટૂંકસમયમાં શરૂ થવાની છે.
ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક નાસભાગમાં 7ના મોત
ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આરસીબીનો સન્માન સમારોહ યોજાવાનો છે. જેમાં ભાગ લેવા મોટાપાયે ભીડ ઉમટી પડી છે. ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક નાસભાગ થતાં સાત લોકોના મોત થયા હોવાના અહેવાલો મળ્યા છે. જ્યારે 25થી વધુ લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે. હજુ સુધી આ માહિતીની સત્તાવાર પુષ્ટી થઈ નથી. બીજી બાજુ બેંગ્લુરૂમાં વરસાદ પણ શરૂ થઈ ગયો છે.
વિધાનસભાની બહાર ફેન્સની ભારે ભીડ
કર્ણાટકના વિધાનસભાની બહાર મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી છે. આઈપીએલ 2025ની ચેમ્પિયન ટીમનું સ્વાગત અને સન્માન કરવામાં આવશે. ચાહકો સ્ટેડિયમમાં અંદર જવા પડાપડી કરી રહ્યા હતાં.
