રાજ્યમાં સતત વિકાસના કાર્યોમાં ભ્રષ્ટાચારની બૂમો ઉઠવા પામતી હોય છે,, હાલમાં જ દાહોદના ભ્રષ્ટાચારની બૂમો, દેશભરમાં ગુંજી હતી, ત્યારે આવી જ કામગીરી અરવલ્લી જિલ્લામાં પણ ચાલી રહી છે. મોડાસા શહેરમાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરીને ધ્યાનથી જોવામાં આવે, તો અહીં પણ પોલમપોલ જ જોવા મળશે. કોઈ આયોજન વિના કામગીરી કરવામાં આવી રહી છે, ન કોઈ લેવલ ન કોઈ ટકાઉ કામ. પણ રાજ્યકક્ષાના મંત્રીના મતવિસ્તારમાં નેતા હોય કે, અધિકારી ચૂપ રહેવા મજબૂર બન્યા છે.
અરવલ્લીના મોડાસા એજન્સીના ભણેલા-ગણેલા કોન્ટ્રાક્ટર્સ એ એવો વિકલ્પ શોધી કાઢ્યો છે કે, આવનાર દિવસોમાં કોઈપણ બાંધકામ કરવા માટે લોખંડના સળિયાનો નહીં પરંતુ, લાકડાના પાટિયાનો ઉપયોગ થશે. આવું એટલા માટે કહેવું પડે છે કે, મોડાસા શહેરમાં ઠેર-ઠેર ચાલી રહેલી ભૂગર્ભ ગટર યોજનાની કામગીરીમાં પોલમપોલ જ ચાલે છે. મોડાસા ના ધુણાઈ રોડ પર આવેલી નીલકંઠ સોસાયટી બહાર 15 દિવસ અગાઉ ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી વર્ષો પછી પૂર્ણ કરવામાં આવી હતી. જોકે, 7 ઓગસ્ટના રોજ એક ડંપર આવ્યું અને ગટરમાં ઉતરી પડ્યું. વાત એટલે થી નથી અટકતી, જ્યારે ગટરે કળા કરી, તો ખબર પડી કે, અહીં સ્લેબ ભરવા માટે લોખંડના સળિયા કરતા વધારે, લાકડાના પાટિયાનો ઉપયોગ વધારે કર્યો હતો. આને ભ્રષ્ટાચાર ન કહેવાય તો શું કહેવાય? આવી કામગીર મોડાસા નગર પાલિકા વિસ્તારમાં ચાલે છે અને પાલિકા તેના માથે કંઈ લેવા માંગતી જ નથી. લોકો હવે પૂછે તો પૂછે કોને તે સવાલ છે.
મોડાસામાં ભાજપના ધારાસભ્ય અને મંત્રી ભિખુસિંહ પરમારના મતવિસ્તારમાં આવી સુંદર કામગીરી થતી હોય અને કોઈ જોવાવાળું કે બોલવાવાળું ન હોય, તો કેમ ચાલે ? મોડાસામાં ચાલતી ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી પર ભાજપના નેતાઓ મૌન રહેવા મુનાસિબ સમજે છે જ્યારે એજન્સી સામે અધિકારીઓનું કંઈ ઉપજતું ન હોય તેવું સ્પષ્ટ લાગે છે. નાના-મોટા રોડ હોય કે બસ શરૂ કરવાની હોય તો નેતાઓ દોડતા લીલી ઝંડી બતાવવા પહોંચી જાય છે, પણ અહીં ગટરના તકલાદી કામ અંગે કેમ દોડીને પહોંચતા નથી તે સવાલ છે. નેતાઓ અને અધિકારીઓના કારણે, ટેક્સ ભરતી પ્રજાનો મરો ચોક્કસથી થાય છે.
