રાજ્યમાં કોઈ અકસ્માત સર્જાય કે પછી દુર્ઘટના થાય ત્યારે તપાસ થશે કે કેમ તેવા સવાલો ચોક્કસથી ઉઠતા હોય છે. કેટલાક કિસ્સામાં તપાસ થાય પણ ઢીલી અને કેટલાક કિસ્સામાં તપાસ ખાનાપૂર્તિ કરી દેવામાં આવતી હોય છે. રાજ્યમાં આવી કેટલીય ઘટનાઓ ઘટી, જેમાં ટીઆરપી અગ્નિકાંડ, તક્ષશિલા, હરણી બોટ, ગંભીરપુરા બ્રિજ દુર્ઘટના વગેરે. અરવલ્લી જિલ્લામાં 21 ઓગસ્ટના રોજ મોડાસા તાલુકાના ચોપડા નજીક સ્કૂલ બસ પલટી મારી જવાની ઘટના ઘટી છે. આ સમગ્ર મામલે અરવલ્લી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.
ઘટના મોડાસા તાલુકાના ચોપડા ગામ નજીક લીંભોઈ ગામની આદર્શ વિદ્યાલયની બસ પલટી મારી ગઈ હતી. બસ 30 થી વધારે બાળકો સવાર હતા, જેઓના નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. સાંજના સમયે સ્કૂલ છૂટી ગયા પછી, નિત્યક્રમ મુજબ બાળકોને લઈને બસ રવાના થઈ હતી. આ સમય દરમિયાન ચોપડા ગામ નજીક થી પસાર થઈ રહી હતી, ત્યારે બસ અચાનક પલટી મારી ગઈ છે. સમગ્ર ઘટનાને પગલે ઈજાગ્રસ્ત 33 બાળકોને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હોવાની તબીબ જણાવે છે, જ્યારે આચાર્ય કહે છે કે, 15 થી 20 બાળકોને ઈજાઓ પહોંચી છે.
ઘટનાની જાણ થતાં, અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ સાર્વજનિક હોસ્પિટલ ખાતે પહોંચી હતી. આ સાથે જ અરવલ્લી જિલ્લા શિક્ષણાધિકારી નૈનેશ દવે પણ પહોંચ્યા હતા, જ્યાં તેમણે પરિસ્થિતિનો તાગ મેળ્વવ્યો હતો.. અરવલ્લી જિલ્લા શિક્ષણાધિકારીએ બાળકો સાથે વાતચીત પણ કરી હતી. તેમણે જણાવ્યું કે, સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ઘટનામાં જે કોઈ વ્યક્તિ જવાબદાર હશે, તેની સામે પગલા લેવામાં આવશે.
સમગ્ર ઘટનાને પગલે હવે તપાસ શું થશે, કેવી તપાસ થશે, તે સવાલ છે. છાશવારે અકસ્માતની ઘટનાઓ બનવા પામતી હોય છે, ત્યારે સ્કૂલ બસ પલટી મારી જવાને લઇને, બસમાં કેટલા વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા, તેના પર યક્ષ પ્રશ્ન છે. શું નિયમ મુજબ બસમાં વિદ્યાર્થીઓને લઇ જવાતા, હતા કે પછી નિયમોનો ઉલાડિયો થતો હતો. આવા અનેક પ્રશ્નો હવે ફાઈલમાં દબાઈ જાય છે કે પછી ફાઈલ સતત જોવાશે, તે તો સમય જ બતાવશે.
