અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદને કારણે ક્યાંક ખુશી તો ક્યાં કહેર જોવા મળી રહ્યો છે. કેટલીક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યાઓ જોવા મળી હતી, તો કેટલીક જગ્યાએ ડીપ જળમગ્ન થયા હતા. આ વચ્ચે મોડાસા તાલુકાના બામણવાડ ગામે મેશ્વો નદીમાં ઘોડાપુર આવતા, અહીંથી પસાર થતી નદી ગાંડીતૂર બની હતી, જેને લઇને ગામના લોકોને સામેની બાજુ જવા માટે મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અહીં એક કોઝ વે છે, જે નદીમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ ડૂબી ગયો હતો, જેથી ખેડૂતો અને પશુપાલકો નદીની સામેની બાજુ જઈ શકતા નથી.
સમગ્ર ઘટનાને લઇને મોટી સંખ્યામાં પશુપાલકો અને ખેડૂતોએ તંત્ર અને સત્તાધિશો સામે રોષ વ્યક્ત કર્યો હતો. મહિલાઓએ બરણીઓ લઇને ભાજપ સામે બડાફો કાઢ્યો હતો, જોકે હજુ સુધી કોઈ ફરક્યું છે કે, નહીં, તે તો તંત્ર જ કહી શકે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, નદીમાં પાણી આવતા 18 તબેલા અને 150 વીઘા ખેતીમાં જવાનો માર્ગ ત્રણ દિવસથી બંધ ગયો હતો. એટલું જ નહીં, રસ્તો બંધ થઈ જતાં, લોકોએ 15 કિમીનું ચક્કર કાપી ને તેમના ખેતરે જવું પડે છે. ગ્રામજનો એટલી હદે રોષે ભરાયા છે કે, તેમણે અધિકારીઓના ગામમાં પ્રવેશ બંધી ની સાથે સાથે ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે.

સ્થાનિક વ્યક્તિઓ અને પશુપાલકોનું કહેવું છે કે, ચોમાસાના સમયમાં અહીંથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ પડે છે. મોટાભાગના ખેતર અને તબેલા ડીપ ની સામેની બાજુ છે. આ સાથે જ પંચાયતના હોદ્દેદાર રાહુલ પટેલે પણ ભારે રોષ સાથે હૈયા વરાળ ઠાલવી હતી. તેમણે જણાવ્યું કે, અમારો તબેલો નદીની સામેની બાજુ છે. બામણવાડ ગામે મેશ્વો નદી પરના રસ્તાની 25 વર્ષથી વાત ચાલે છે. 2016માં દરખાસ્ત બનાવી હતી, તે સમયે 397 લાખનું બજેટ હતું, જે-તે સમયના સરપંચ સહિતના હોદ્દેદારો હતા ત્યારે કહેવામાં આવતું હતું કે, અહીં તો કોંગ્રેસના ધારાસભ્ય છે. એટલે તમારો રોડ મંજૂર નહીં થાય.આ બધુ પૂર્ણ થતાં તેઓ ઉમેરે છે કે, હાલ 2025માં ભાજપના ધારાસભ્ય છે, તો કામ કેમ નથી થતું ?
