જેસીસ મીલ કમિટી, મોડાસા દ્વારા 50 વર્ષની ઉજવણી નિમિત્તે સામાજિક અને આધ્યાત્મિક જનહિતાર્થે પાંચ દિવસીય શ્રીકૃષ્ણ કથા આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં કૃષ્ણ ભક્ત સંતો મીરાબાઈ, જલારામ બાપા, નરસિંહ મહેતા, શ્રી વલ્લભ પ્રભુ તથા શ્રીમદ પ્રભુપાદની પ્રેરણાદાયી જીવનકથાઓ રજૂ કરવામાં આવશે.
આ પાંચ દિવસીય કથાના આરંભે અરવલ્લી પંથકના સંતોના કરકમળે દીપ પ્રાગટ્ય કરવામાં આવશે તથા આશીર્વાદ પ્રાપ્ત કરાશે. સાથે સાથે મોડાસા અને અરવલ્લી જિલ્લામાં સામાજિક જનહિત માટે નોંધપાત્ર કામગીરી કરેલા સામાજિક કાર્યકરોનું સન્માન કરવામાં આવશે. આ અવસરે વાલ્મિકી સમાજની દીકરીઓનું પૂજન તથા સન્માન કાર્યક્રમ પણ યોજાશે.
વ્યાસપીઠ પરથી મહંત શાસ્ત્રી વિષ્ણુપ્રસાદજી દ્વારા કથાવાચન કરવામાં આવશે. જેસીસ મીલ કમિટીના ચેરમેન નવનીત પરીખ તથા ટ્રસ્ટી નિલેશ જોશી જીવદયા પ્રેમી મુકુંદ શાહ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ કથા તારીખ 8 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી દરમિયાન દરરોજ બપોરે 1 થી 4 વાગ્યા સુધી જેસીસ હોલ, નગરવાળાના નાકે, મોડાસા ખાતે યોજાશે.
જેસીસ મીલ કમિટીની સુવર્ણ જયંતી નિમિત્તે યોજાનાર આ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા નગરજનો જોડાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
