મોડાસા (અરવલ્લી):
તત્વજ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ્સ ઓફ એક્સીલેન્સ, મોડાસા ખાતે ૨૬ જાન્યુઆરીના રોજ ૭૬મા ગણતંત્ર દિવસની ભવ્ય અને દેશભાવનાથી ઓતપ્રોત ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત સંસ્થાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને ગામની ગૌરવરૂપ દીકરી કુવારી ક્રિશા ચેતનભાઈ ભાવસાર (મુખ્ય અતિથિ)ના હસ્તે ધ્વજવંદન સાથે કરવામાં આવી હતી.
આ અવસરે વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ આધારિત નાટક, વાર્તા, વ્યાખ્યાન, એકપાત્ર અભિનય, દેશભક્તિ ગીતો, સંગીત, નૃત્ય તેમજ ઐતિહાસિક નાટકની મનમોહક રજૂઆતો કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની પ્રસ્તુતિએ ઉપસ્થિત મહેમાનો તથા પ્રેક્ષકોમાં દેશપ્રેમ અને રાષ્ટ્રીય ભાવનાને વધુ પ્રબળ બનાવી હતી.
ગણતંત્ર દિવસ નિમિત્તે “બેટી બચાવો, બેટી પઢાવો” અભિયાનને પ્રોત્સાહન આપવા અને કન્યા કેળવણીનો સંદેશ આપવા “દિકરીને પ્રણામ – દેશને નામ” કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેના અંતર્ગત ગામની દીકરી કુવારી ક્રિશા ચેતનભાઈ ભાવસારને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરી ગૌરવ આપવામાં આવ્યું હતું. ઉપરાંત જાન્યુઆરી-૨૦૨૫ થી જાન્યુઆરી-૨૦૨૬ દરમિયાન જન્મેલી દીકરીઓને આમંત્રિત કરી તેમનો સન્માનપૂર્વક સત્કાર કરવામાં આવ્યો હતો.
શૈક્ષણિક સત્ર દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્તમ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સન્માન પ્રમાણપત્રો આપી ગૌરવભેર સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ આજના કાર્યક્રમમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે મહેન્દ્રભાઈ પટેલ અને નવીનભાઈ પટેલ (સભ્ય, તત્વ ફાઉન્ડેશન) ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સ્કૂલના પ્રિન્સિપાલ ડૉ. ઉષા રાઠોડ, ડિપ્લોમા કોલેજના પ્રિન્સિપાલ પ્રો. મોહસીનભાઈ બાંડી તેમજ સ્વામી વિવેકાનંદ સ્કૂલના પ્રિન્સિપાલ ધર્મેશભાઈ સુથારની ઉપસ્થિતિએ કાર્યક્રમને ગૌરવ આપ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમ તત્વ પરિવારના માર્ગદર્શક તથા કેમ્પસ ડાયરેક્ટર માનનીય પ્રો. જયદત્તસિંહ પુવારની દેખરેખ હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. કાર્યક્રમ દરમિયાન દેશપ્રેમ, એકતા અને સંવિધાન પ્રત્યેની નિષ્ઠાનો સંકલ્પ પણ લેવાયો હતો. તત્વ ફાઉન્ડેશન ટ્રસ્ટના ચેરમેન આર.વી. પુવાર, વાઇસ ચેરમેન પ્રભુદાસભાઈ પટેલ, રસિકભાઈ પટેલ અને મંત્રી ધર્મેન્દ્રભાઈ પટેલે દૂરસંચાર માધ્યમ દ્વારા ગણતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.






