- ઠેર ઠેર ગેરકાયદે ખોદકામ, ખાણ-ખનીજ વિભાગની કામગીરી પર પ્રશ્નચિહ્ન – વિજિલન્સ તપાસની માંગ ઉઠી
- ખાણ ખનીજ વિભાગની મિલીભગત થી જિલ્લા કલેક્ટર કચેરીના ઉચ્ચ અધિકારીઓ ની ચૂપકી
અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લામાં ગેરકાયદે ખનનનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. જિલ્લામાં ભૂમાફિયા બેફામ બન્યા હોવાની ચર્ચાઓ વચ્ચે અધિકારીઓની સંભવિત મિલીભગત અંગે પણ ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. એક સમય હતો જ્યારે ગેરકાયદે ખનન કરતા તત્વો બાઈક પર ફરતા જોવા મળતા, પરંતુ આજે તેઓ SUV જેવી મોંઘી ગાડીઓમાં ફરતા હોવાની ચર્ચા જિલ્લામાં જોર પકડે છે.
જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઠેર ઠેર ખોદકામ થતું હોવાના આરોપો સામે આવી રહ્યા છે. નદીકાંઠા, પર્વતીય વિસ્તારો, સરકારી જમીનો, તળાવોમાં નક્કી કરેલ સીમા કરતા વધુ ખોદકામ સુધી ખનનકારો પહોંચી ગયા હોવાની માહિતી સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહી છે. પરિણામે પર્યાવરણને નુકસાન સાથે સરકારને આવકમાં પણ ભારે ખોટ થતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આ પરિસ્થિતિમાં સૌથી મોટો સવાલ ખાણ-ખનીજ વિભાગની કામગીરી પર ઊભો થયો છે. સતત ચાલતા ખોદકામ છતાં વિભાગને જાણ નથી કે કાર્યવાહી થતી નથી? તે મુદ્દે લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોમાંથી માંગ ઉઠી રહી છે કે જ્યાં જ્યાં મોટા પાયે ખોદકામ કરવામાં આવ્યું છે, ત્યાં વિજિલન્સ દ્વારા સ્વતંત્ર તપાસ કરવી જોઈએ. જો નિષ્પક્ષ તપાસ થાય તો ગેરરીતિઓ બહાર આવી શકે તેવી ચર્ચા છે.તે ઉપરાંત એક વધુ ચર્ચા ગરમાઈ રહી છે કે ACB (ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો)ની કાર્યવાહીથી બચવા માટે કેટલાક કિસ્સાઓમાં આઉટસોર્સિંગ કર્મચારીઓને આગળ રાખવામાં આવે છે, જેથી જવાબદારી સીધી અધિકારીઓ સુધી ન પહોંચે. જોકે આ મુદ્દે સત્તાવાર પુષ્ટિ નથી, પરંતુ ચર્ચાઓએ તંત્રની પારદર્શિતાને લઈને સવાલો ઊભા કર્યા છે.
જિલ્લામાં વધી રહેલા ગેરકાયદે ખનનને લઈને જાગૃત નાગરિકો કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. જો સમયસર નિયંત્રણ નહીં આવે તો પર્યાવરણને નુકસાન સાથે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર પણ અસર પડી શકે છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ મુદ્દે કડક પગલાં ભરે છે કે નહીં.






