અરવલ્લી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી આજે શામળાજી ખાતે શામળિયા ભગવાનના પવિત્ર મંદિર પરિસરમાં ભવ્ય અને આધ્યાત્મિક વાતાવરણમાં કરવામાં આવી હતી. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અમૂલ્ય વિચારો અને યોગ પ્રત્યેની અદ્વિતીય પ્રતિબદ્ધતાથી પ્રેરિત થઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મંત્રી પી.સી. બરંડાના અધ્યક્ષસ્થાને આયોજિત આ કાર્યક્રમમાં યોગાભ્યાસનું વ્યાપક પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મંત્રીએ આ પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું કે, “યોગ એ માત્ર શારીરિક વ્યાયામ નથી, પરંતુ મન, શરીર અને આત્માના સંતુલનનો અમૂલ્ય વારસો છે. માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વિશ્વભરમાં યોગનો પ્રસાર થઈ રહ્યો છે અને અરવલ્લી જિલ્લો પણ આ અભિયાનમાં પોતાનો પૂર્ણ યોગદાન આપી રહ્યો છે.” મંત્રી એ યોગના દૈનિક અભ્યાસથી આરોગ્ય, તનાવમુક્તિ અને આધ્યાત્મિક વિકાસના અનેક લાભો વિશે વિસ્તારથી વાત કરી અને જનતાને યોગને જીવનનો અવિચ્છેદ્ય અંગ બનાવવા અપીલ કરી.

કાર્યક્રમ દરમિયાન વિવિધ યોગ આસનો, પ્રાણાયામ અને ધ્યાનના સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગ શિક્ષકો અને નિષ્ણાતો દ્વારા જનસાધારણને યોગની સરળ અને અસરકારક પદ્ધતિઓ દર્શાવવામાં આવી. આ પ્રસંગે શામળાજી મંદિર પરિસરમાં યોગના મહત્વ પર આધારિત પોસ્ટર્સ અને બેનરો દ્વારા જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લાના અધિકારીશ્રીઓ, પદાધિકારીઓ, પોલીસ જવાનો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી. સૌએ ઉત્સાહપૂર્વક યોગાભ્યાસમાં ભાગ લીધો અને યોગને પ્રોત્સાહન આપવાના સંકલ્પ સાથે કાર્યક્રમનો અંત આવ્યો.આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આ ઉજવણી અરવલ્લી જિલ્લામાં સ્વસ્થ અને સકારાત્મક જીવનશૈલીના વિકાસ તરફનું એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
