અરવલ્લી જિલ્લામાં પર્યાવરણને નુકસાન પહોંચી રહ્યું છે ત્યારે ખાણ ખનીજ વિભાગ અને વનવિભાગ સદંતર નિષ્ફળ નિવળ્યું હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિક વહીવટી તંત્ર ન સાંભળતા હવે સ્થાનિક લોકોએ દિલ્હી સુધી રજૂઆત કરવાનો વારો આવ્યો છે. મોડાસા તાલુકાના શામપુર મુકામાં ઘણાં લાંબા સમયથી ક્વોરી ઉદ્યોગથી આસપાસના વિસ્તારોમાં આવેલા મકાનોને ભારે નુકસાન પહોંચી રહ્યું હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. આ પહેલા ગ્રામજનો દ્વારા કલેક્ટરને તેમજ ખાણખનીજ વિભાગને આવેદન પત્ર આપી ચૂક્યા હતા, પણ કોઇ જ નક્કર પરિણામ નહીં આવતા ગ્રામજનોને ખ્યાલ આવી ગયો કે, સ્થાનિક કક્ષાએ અધિકારીઓને રજૂઆત કરવાથી કોઇ જ ફરક નહીં પડે એટલે સ્થાનિક લોકોએ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં રજૂઆત કરી હતી, જેને લઇને દિલ્હીથી NGT ની ટીમ મોડાસા તાલુકાના શામપુર મુકામે આવી પહોંચી હતી. ગાડીઓના કાફલા સાથે ઉચ્ચ અધિકારીઓની ટીમ શામપુર મુકામે પહોંચતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું.

સ્થાનિક લોકોની માંગ છે કે, ક્વોરીને કારણે ઐતિહાસિક મેરાયુ પણ જોખમમાં મુકાઇ શકે એમ છે, અને કોઇપણ સમયે આસ્થાના પ્રતિક સમા મેરાયું ખંડિત થવાની સ્થિતિનું નિર્માણ થઇ શકે એમ છે ત્યારે કાયમી ધોરણે ક્વોરી બંધ થાય તેવી ગ્રામજનોની ઉગ્ર માંગ છે.
શામપુરના ડુંગર પર આવેલા મેરાયાનું મહત્વ
દિવાળી આવે એટલે તેર ફૂટ ઉંચા મેરાયામાં તેલ પુરવાની પ્રથા છે. મોડાસા તાલુકાના શામપુર ગામના ડુંગર આવેલા તેર ફૂટ ઉંચા મેરાયામાં ગ્રામજનો દિવાળીના દિવસે તેલ પુરે છે, અને દેવ દિવાળી સુધી તેની પૂજા કરે છે,, લોકવાયકા મુજબ મહાભારત સમયથી આ પરંપરા ચાલી આવી છે, જે આજે પણ ગ્રામજનો દ્વારા જાળવી રાખવામાં આવી છે. શામપુરાના ડુંગર પર પ્રગટાવાયેલા મેરાયુંનો પ્રકાશ આસપાસના રામપુર, ગઢડા, ખંભીસર, સરડોઇ, મેઢાસણ, લાલપુર, નવા, દાવલી સહિતના ગામમાં જોવા મળે છે.
