37 C
Ahmedabad
Saturday, May 18, 2024

GMDC માં પંચાયત મહાસંમેલનમાં PM મોદીએ ગામના વડીલ જેમ વાત કરી કહ્યું “ગામમાં કોઈને ગરીબ નથી રહેવા દેવા”


અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ગુજરાત પંચાયત મહાસંમેલનમાં જનપ્રતિનિધિઓને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાતએ ગાંધી અને સરદારની ભૂમિ છે. પૂજ્ય બાપુએ હંમેશા ગ્રામીણ વિકાસ અને આત્મનિર્ભરતાની વાત કરી છે. આપણે જયારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે પૂજ્ય બાપુના ગ્રામ વિકાસ અને આત્મનિર્ભરતાના સ્વપ્નને સાકાર કરવા આપણે સૌ કટિબદ્ધ બનીએ. રાજ્યભરમાંથી ઉપસ્થિત રહેલા જનપ્રતિનિધિઓનું અભિવાદન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોરોનાની વૈશ્વિક મહામારીએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો, પરંતુ દેશભરના ગામડાઓની સ્વયં જાગૃતિએ કોરોનાને હરાવ્યો છે. ગામડાઓએ કોરોના નિયંત્રણ માટે પોતે અનેક નિયમો બનાવ્યા. તેને પગલે કોરોનાના કાળખંડમાં ગામડાઓ કોરોનાને સફળતાપૂર્વક દુર રાખી શક્યા તે માટે સૌ અભિનંદનના અધિકારી છે.

Advertisement

ગ્રામીણ વિકાસએ પૂજ્ય બાપુનું મહત્વનું સ્વપ્ન હતું. લોકતંત્રને મજબૂત કરવામાં પંચાયતી રાજ વ્યવસ્થાનું ખુબ મહત્વ છે તેમાં પરિણામલક્ષી ગતિ, પરિવર્તન લાવવાનું કામ સરપંચો – જનપ્રતિનિધિઓ કરે છે ત્યારે ગુજરાત રાજ્યની પંચાયતી રાજ વ્યવસ્થા સમગ્ર દેશ માટે પ્રેરક બનશે તેવો વિશ્વાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યો છે.

Advertisement

રાજ્યની પંચાયત વ્યવસ્થામાં મહિલાઓના યોગદાનનો ઉલ્લેખ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાજ્યની પંચાયત વ્યવસ્થામાં મહિલાઓનું યોગદાન નોંધપાત્ર છે. સાથેસાથે રાજ્યમાં સમરસ પંચાયતનો અભિગમ સફળતાપૂર્વક અમલી બન્યો છે. એક સમયે ગામડાઓમાં ચુંટણીના પગલે કુસંપ વધવાની સ્થિતિને કારણે વેરઝેર જોવા મળતું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિનોબા ભાવેનું સ્મરણ કરતા કહ્યું કે તેઓ હંમેશાં કહેતા કે બધા સહમતીથી ગામના પ્રતિનિધિ નક્કી કરે તો ગામમાં સંપ જોવા મળે તે વાત આજે ગુજરાતે સાચા અર્થમાં સાકાર કરી છે.

Advertisement

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે મુખ્યમંત્રી તરીકે તેમના કર્તવ્યકાળમાં રાજ્યની પંચાયતી વ્યવસ્થામાં મહિલાઓના યોગદાનને બળ પૂરું પાડવાનો નવતર અભિગમ તેમણે અપનાવ્યો હતો. “ગામમાં કોઈને ગરીબ નથી રહેવા દેવા” તેવો સંકલ્પ લેવા જનપ્રતિનિધિઓને તેમણે આહ્વાન કર્યું હતું. કોઇપણ જવાબદારીને સામુહિક રીતે વહન કરવાની સક્ષમતા જ આપણી તાકાત છે તેમ તેમણે ઉમેર્યું હતું. યોજાયેલા પંચાયતી રાજ મહાસંમેલનમાં નરેન્દ્ર મોદીએ જનમેદનીને હાકલ કરતા કહ્યું હતું કે, રાજ્યના 1.5 લાખ જનપ્રતિનિધિઓ સમુહમાં વિકાસનું ચિંતન કરે તે જ સૌથી મોટું કામ છે. આપણી શાળાઓ ગામની પ્રાણ શક્તિ છે ત્યારે શાળામાં ભણેલા લોકોને સામુહિક ચિંતન માટે ભેગા કરવાનો અનુરોધ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, રાજ્યનું દરેક ગામ ઓગસ્ટ – 2023 સુધી ઓછામાં ઓછી 75 દિવસ પ્રભાતફેરી યોજી રાષ્ટ્ર ભક્તિની જનચેતના જગાવવાનું કામ કરે તે સમયની માંગ છે. આ ફેરી દરમ્યાન ગાંધી-સરદાર-ભગતસિંહ સહિતના અનેક નામી અનામી વીરોના બલિદાનોને યાદ કરીએ તો નવી પેઢીમાં પણ રાષ્ટ્ર ભક્તિના સંસ્કારનું સિંચન કરી શકીશું તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

Advertisement

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીને સાર્થક બનાવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રેરક સુચન કરતા કહ્યું કે ગામ આખુ ભેગું થાય અને ગામમાં ૭૫ વૃક્ષો વાવવાની પ્રવૃત્તિ કરીને આપણે પર્યાવરણ જાળવવાનું પણ કામ કરી શકીશું. ગામમાં બહારથી આવનાર વ્યક્તિને ગામ પ્રત્યે લગાવ-રૂચિ વધે, સુંદરતા વધે તેવા પ્રયાસ ચુંટાયેલા જનપ્રતિનિધિઓ કરશે તો વિકાસના નવા આયામો પ્રસ્થાપિત કરી શકીશું. આવું નાનકડું વન નિર્માણ કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌને અનુરોધ કર્યો હતો.

Advertisement

ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ ધરતીમાતાને સામર્થ્યવાન બનાવવા પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપ્યું છે ત્યારે ગામના ૭૫ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવાનો સંકલ્પ લેવા અનુરોધ કરતા મોદીએ કહ્યું કે ધરતીમાતાને આપણે રસાયણિક તત્વોથી પીડા આપીએ છીએ પણ હવે આપણે ધરતીમાતાને પ્રાકૃતિક ખેતીના માધ્યમથી પીડામુક્ત કરીએ અને તેનાથી પર્યાવરણ સુરક્ષા સાથે નાણાં પણ બચશે એમ તેમણે ઉમેર્યું હતું. નરેન્દ્ર મોદીએ કહ્યું કે એક સમય હતો કે ગુજરાત બે ત્રણ વર્ષના અંતરાલે દુષ્કાળનો સામનો કરતુ હતું. ત્યારે આપણે જળસંચય માટે ખેતતલાવડી – બોરીબંધ – ચેકડેમના નિર્માણનો નવતર અભિગમ અપનાવ્યો હતો. અને ૧ લાખથી વધુ બોરીબંધનું નિર્માણ કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજરીતે જળસંચય દ્વારા ભૂર્ગભજળ ઊંચું લાવવાનો આપણે સૌ સંકલ્પ કરીએ. ગામડાઓમાં જ્યાં પણ નાના વહેળા-વહેણ હોય ત્યાં ૭૫ ખેતતલાવડી બનાવવાની જનપ્રતિનિધિઓને તેમણે હાકલ કરી હતી.

Advertisement

પશુધનને બચાવવા માટે રસીકરણનો ઉલ્લેખ કરી મોદીએ કહ્યું કે આપણા ગામડાઓમાં પશુઓને ખડ્પગાનો રોગ થતો હોય છે ત્યારે જીવદયાના મહત્વના કાર્યક્રમ માટે ભારત સરકારે 13 હજાર કરોડ રૂપિયા પશુઓના રસીકરણ માટે ફાળવ્યા છે. ત્યારે રાજ્યના પશુધનને આ રોગથી મુક્ત કરવાનું કરુણામય કામ કરવું જરૂરી છે. કેન્દ્ર સરકાર આ માટે ચિંતિત છે પણ રાજ્યના સૌ પશુપાલકો તેના લાભ લેવા જાગૃત બને તે સમયની માંગ છે. ગામડામાં સ્ટ્રીટ લાઈટ કે ઘરવપરાશમાં એલ.ઈ.ડી.બલ્બ લગાવાની હાકલ કરી મોદીએ કહ્યું કે વીજળી બચાવવી એ આપણી ફરજ છે. ગામના નિવૃત સરકારી કર્મચારીઓ મહિનામાં એક વખત મળીને રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના વધુને વધુ લાભો પોતાના ગામને કેવી રીતે મળે તે માટે સક્રિય બને તે જરૂરી છે. સાથેસાથે ગામનો જન્મદિવસ ઉજવી ગામની બહાર અન્ય સ્થળોએ રહેતા લોકોને નિમંત્રણ આપીએ તો ગામ વિકાસનું નવું સીમાચિહ્નન પ્રસ્થાપિત કરશે તેવો મને દ્રઢ વિશ્વાસ છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

Advertisement

ટેકનોલોજીના વ્યાપના પગલે ઓપ્ટીકલ ફાઈબર આજે ગામડાઓ સુધી પહોચ્યા છે ત્યારે ટેલી મેડીસીન, ટેલી એજ્યુકેશનનો લાભ લેવા જનપ્રતિનિધિઓ સક્ષમ બને. ગામડામાં કોમન સર્વિસ સેન્ટરનો અભિગમ કાર્યવિન્ત કર્યો છે. તેનો ગામની નાનામાં નાની વ્યક્તિ લાભ લઇ સમય – નાણાની બચત કરી શકશે તેમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, રાજ્યનું કોઇપણ બાળક શાળા છોડીને ન જાય, પ્રત્યેક બાળક આંગણવાડી – શાળામાં દાખલ થાય તે માટે સંકલ્પબદ્ધ બની સમયદાન કરે તેવો જનપ્રતિનિધિઓને અનુરોધ કરી તેની નિયમિત મુલાકાત લેવા સુચન કર્યું હતું. મહિલાઓ સમાજનું સામર્થ્યવાન અને અભિન્ન અંગ છે ત્યારે રાજ્યના 50% થી વધુ ગામમાં મહિલાઓ ચુંટાઈને પ્રતિનિધિત્વ કરે છે સમાજમાં ગામ માટે મમતા જાગે તે માટે મહિલાઓ આગળ આવે. પુ. લાલબહાદુર શાસ્ત્રીએ જે ગામ ચોક્કસ શરત પૂર્ણ કરે ત્યાં રાત્રી નિવાસ કરવાનો સંકલ્પ કર્યો હતો તે પુરવાર કરે છે કે ગામડા કેટલા સામર્થ્યવાન બની શકે છે. ચૂંટાયેલી મહિલાઓ – પ્રતિનિધિઓ લોકતંત્રની શક્તિઓને પરિણામલક્ષી રીતે ઉજાગર કરે.

Advertisement

ચુંટણીના પરિણામોને ઉલ્લેખ કરીને મોદીએ કહ્યું કે ગઈકાલે ચાર રાજ્યોમાં લોકતંત્રની શક્તિએ નવા પરિમાણો પ્રસ્થાપિત કર્યા છે ત્યારે પંચાયતી રાજ દિવસની પરિણામલક્ષી રીતે ઉજવણી કરીને લોકતંત્રમાં વિશ્વાસ પ્રસ્થાપિત કરવા સૌને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સરપંચોને દેશના સર્વોચ્ચ નેતૃત્વનું સીધું માર્ગદર્શન-સંવાદની આ ઘટનાને ઐતિહાસિક ગણાવી હતી. તેમણે કહ્યું કે, ગ્રામ પંચાયતોને જાહેર વહિવટમાં પ્રાધાન્ય આપવાનો ગુજરાતનો ઇિતહાસ છે. મુખ્યમંત્રીએ ગામડાઓના વિકાસને વેગવંતો બનાવવા પ્રધાનમંત્રીએ નાણાપંચ દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં વધારો કર્યો તે માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી. ભૂપેન્દ્ર પટેલે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલ આત્મનિર્ભર ગ્રામ યાત્રા અને ગાંધીજયંતિ અવસરે આયોજીત ગ્રામસભાઓની સફળતાની ભૂમિકા આપી હતી.

Advertisement

આ પ્રસંગે પંચાયતીરાજને લગતી કોફીટેબલ બુકનું પ્રધાનમંત્રીના હસ્તે વિમોચન કરાયું હતું. તેમજ રાજ્યમાં સતત પાંચ વર્ષથી સમરસ થયેલા મહિલા સરપંચોનું પ્રતીકરૂપે સન્માન પણ પ્રધાનમંત્રીના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે સાંસદ નરહરિ અમિન, હસમુખ પટેલ, મેયર કિરીટ પરમાર, ભાજપા અધ્યક્ષ સી આર પાટીલ, ગુજરાત પંચાયત પ્રદેશ સમિતિના પ્રમુખ નયના પટેલ, પૂર્વ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, રાજ્ય મંત્રી મંડળના સભ્યો, મુખ્ય સચિવ પંકજકુમાર, ગામ વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા ઉચ્ચ સનદી અધિકારીઓ, જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખઓ, સભ્યઓ, ગ્રામ પંચાયતના સરપંચઓ તેમજ સભ્યઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!