આગામી અષાઢી બીજના રોજ અરવલ્લી જિલ્લામાં યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇને પોલિસ માર્ચ યોજવામાં આવી હતી. મોડાસા શહેરમાં આગામી અષાઢી બીજના રોજ યોજાનારી 40 મી રથયાત્રાને લઇને મંદિર સમિતિ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે ત્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇને પોલિસ તંત્ર પણ ખડેપગે રહેશે, આ માટે પોલિસ બંદોબસ્ત સહિતની કામગીરી પણ રથયાત્રા સમયે હાથ ધરવામાં આવનાર છે, આ પહેલા પોલિસ તંત્ર દ્વારા રથયાત્રા રૂટ પર પોલિસ માર્ચ યોજવામાં આવી હતી.
મોડાસા ટાઉન પોલીસ અધિકારી કર્મચારીઓ અને સરકારી વાહન સાથે લિયો બસ સ્ટેન્ડ ચોકીથી આગામી રથયાત્રાને લઇને રથયાત્રાના સેન્સિટિવ રૂટ પર પોલિસ માર્ચ યોજવામાં આવી હતી. આ પોલિસ માર્ચ જુના બસ સ્ટેન્ડ થી રાધાબેનના દવાખાના રોડ, ખડાયતા પોલીસ ચોકી, કડિયાવાડ, ભાવસારવાડા થી જુનુ પોલીસ સ્ટેશન ચાર રસ્તા ચોકી સુધી વિગેરે વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ નું આયોજન કરવામાં આવેલ હતું, આ ફૂટ પેટ્રોલિંગમાં પોલિસ ઇન્સ્પેક્ટર સહિતના પોલિસ કર્મચારીઓ જોડાયા હતા.
મોડાસા રથયાત્રા ઉત્સવ સમિતિના પ્રમુખ દિલીપ ભાવસારના જણાવ્યા અનુસાર, 40 મી રથયાત્રાનો રૂટ લંબાવામાં આવ્યો છે .ભગવાન જગન્નાથની 40મી રથયાત્રા સવારે 11 કલાકે બાલકદાસજી મંદિરથી પ્રસ્થાન કરી સગરવાડા મહાકાળી મંદિર થી સરસ્વતી બાલમંદિર મોડાસા ચાર રસ્તા પર બપોરે પહોંચશે ત્યાંથી મેઘરજ રોડ ઉમિયા માતાજીના મંદિર થી ડી પી રોડ થઇ માલપુર રોડ પરથી ચાર રસ્તા થી બસ સ્ટેન્ડ અને કડિયાવાડા-ભાવસારવાડા હોળી ચકલા જૂની નગરપાલિકા પરબડી ચોક થી જૈન દેરાસર થી સાંજે 7 વાગે નીજ મંદિર પરત પહોંચશે 30 તારીખે ઓધારી માતાજી મંદિરે ભગવાન જગન્નાથનું મોમેરૂ ભરવામાં આવનાર છે મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લાના ભક્તોને રથયાત્રામાં જોડાવવા આહવાન કર્યું હતું
કોરોનાને કારણે ધાર્મિક પરંપરા પર પણ આડઅસર થતી હતી લોકડાઉનમાં મંદિરોને પણ તાળા વાગી ગયા હતા ત્યારે રોગચાળો વકરે નહીં તે માટે રથયાત્રા પણ બંધ રાખવામાં આવી હતી. સામાન્યરીતે અષાઢી બીજે રથમાં સવાર થઇને ભગવાન જગન્નાથજી ભક્તોને દર્શન આપવા બહાર નિકળતા હોય છે પરંતુ કોરોનાને કારણે સતત બે વર્ષ રથયાત્રા બંધ રાખવી પડી હતી.
