રાજસ્થાનના ઉદેપુરમાં ટેલર કનૈયાલાલની હત્યાને પગલે અરવલ્લી જિલ્લામાં તકેદારી રાખવામાં આવી રહી છે. ગુજરાતમાંથી રાજસ્થાન તરફ જતા બસ બંધ કરવામાં આવી છે. ગુજરાતથી રાજસ્થાન તરફ જતી 22 બસના રૂટ બંધ કરવામાં આવ્યા છે. ગુજરાતના અલગ-અલગ જિલ્લામાંથી ઉદેપુર અને નાથદ્વારા જતી બસને શામળાજી બસ ડેપો પર રોકી દેવાઇ છે તો કેટલીક બસ રતનપુર સુધી પહોંચ્યા પછી મુસાફરોને ત્યાં ઉતારવાની ફરજ પડી છે.
નુપૂર શર્માને સમર્થન આપવા બદલ રાજસ્થાનના ઉદેપુરમાં ટેલર કનૈયાલાલનુ ગળુ કાપીને હત્યા કરી દેવાઈ હોવાની ઘટના બાદ આખા દેશમાં ભારે આક્રોશ છે. ઉદેપુર સહીત રાજસ્થાનમાં અજંપાભરી સ્થિતિનું નિર્માણ થયું છે. કોઇપણ સંજોગોમાં ગુજરાતના મુસાફરો અથવા તો એસ.ટી.બસ સેવા પ્રભાવિત ન થાય તે હેતુથી રાજસ્થાન જતી બસ બંધ કરવામાં આવી છે.
શામળાજી એસ.ટી.બસ ડેપોના ઇન્ચાર્જ ટ્રાફિક કંટ્રોલર મહિપાલસિંહે જણાવ્યું કે, વિભાગીય નિયામક હિંમતનગરના આદેશ મુજબ રાજસ્થાન તરફ જતી તમામ બસ બંધ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. જ્યાં સુધી આગામી આદેશ ન આવે ત્યાં સુધી બસ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. એસ.ટી.વિભાગ દ્વારા રાજસ્થાનના રૂટ બંધ કરી દેવામાં આવતા નાથદ્વારા જતાં પ્રવાસીઓ પણ અટવાઇ પડ્યા હતા.