મુંબઈ : ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ નવી સરકારની રચનાની પ્રક્રિયા ઝડપી બની છે. મળતી માહિતી મુજબ, આજે એકનાથ શિંદે મુંબઈ પહોંચવાના હતા ત્યારે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બનવાના હતા, તેવી વાતોએ જોર પકડ્યું હતું જો કે એકનાથ શિંદે આવ્યા પછી બન્ને નેતાઓએ મુલાકાત કરી હતી, ત્યારબાદ દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી અને આગામી મુખ્યમંત્રી એકનાથ શિંદે ના નામ પર મોહર લગાવી હતી.
મુંબઈમાં કડક સુરક્ષા
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મુંબઈમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પેરા મિલિટરી ફોર્સના બે હજાર CRPF જવાનો મુંબઈ પહોંચી ગયા છે. આ જવાનોને એરફોર્સ દ્વારા મુંબઈ મોકલવામાં આવ્યા છે અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસ હાઈ એલર્ટ પર છે.
ફ્લોર ટેસ્ટ પહેલા ઉદ્ધવે રાજીનામું આપ્યું
મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફ્લોર ટેસ્ટ પહેલા જ ફેસબુક લાઈવ કરતા રાજીનામું આપ્યું હતું. અગાઉ, ઉદ્ધવે તેમની કેબિનેટ બેઠક દરમિયાન કહ્યું હતું કે જો 30 જૂને ફ્લોર ટેસ્ટ થશે, તો તે તેમની છેલ્લી કેબિનેટ બેઠક હશે. ઉદ્ધવ ઠાકરેએ માત્ર મુખ્યમંત્રી પદેથી જ નહીં પરંતુ વિધાન પરિષદના સભ્ય પદ પરથી પણ રાજીનામું આપ્યું છે. તમને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે ગુરુવારે જ શિવસેનાની દલીલોને ફગાવી દેતા ફ્લોર ટેસ્ટનો આદેશ આપ્યો હતો.





