મોડાસા તાલુકાના ભાટકોટા ગામ નજીક આજુબાજુના વિસ્તારમાં ચાર દીપડા પાણી, ખોરાકની શોધમાં ભટકતા હોવાથી ખેડૂતો સહીત લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે ભાટકોટા પંથકમાં દીપડાની દહેશતથી ખેડૂતો અને પશુપાલકો ચિંતિત બન્યા છે ખેતરમાં પાકનું રક્ષણ પણ થાય અને દીપડાથી જીવને જોખમ ન થાય તે માટે એક ખેડૂતે ખેતરમાં ખાટલા પર લોંખડનું પાંજરું બનાવી દીધું છે જો કે દરેક ખેડૂત માટે લોંખડનું પાંજરૂ બનાવવું કઠણ હોવાથી ખેડૂતોમાં જીવ બચાવવો કે પાક બચાવવો તેવી સ્થિતિનું નિર્માણ થયું છે વનવિભાગ તંત્ર પાંજરા ગોઠવી જવાબદારી માંથી છટકી રહ્યું હોવાનું લોકો અહેસાસ અનુભવી રહ્યા છે
ભાટકોટા ગામના મંદિર નજીક આવેલ ખેતરમાં રાત્રીના સુમારે ચાર દીપડાએ ધામા નાખતા અને મંદિરની આજુબાજુ ટહેલતા દીપડા ગામમાં પ્રવેશી મારણ કરે તેવો ભયના પગલે ગ્રામજનો લાકડીઓ લઇ મંદિર સામે સતત ત્રણ-ચાર કલાક ઉભા રહી દેકારો મચાવતા રહ્યા હતા જાણે દીપડા પરિવાર અને ગ્રામજનો વચ્ચે જંગ જામ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા ત્રણ-ચાર કલાક પછી દીપડા મંદિર વિસ્તાર છોડી ડુંગરાળ જંગલમાં પરત ફરતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો પશુપાલન સાથે સંકળાયેલ મહિલાઓ વહેલી સવારે દૂધ કાઢતા અને બાળકો ઘર બહાર નીકળતા ડરી રહ્યા છે
ભાટકોટા ખેડૂત ભરતભાઈ રાવે સુરક્ષા માટે લોંખડનું પાંજરું બનાવ્યું
ભાટકોટા ગામ સહીત આજુબાજુના પંથકના જંગલમાં દીપડા વસવાટ કરતા હોવાથી ખેડૂતો જીવના જોખમે ખેતી કરી રહ્યા છે ભરત રાવ નામના ખેડૂતે ખેતરમાં ઉભા પાકનું ભેલાણ અટકાવવા અને દીપડાના શિકારનો ભોગ બનાવની દહેશતના પગલે ખેતરમાં ખાટલા પર લોંખડનું પાંજરૂ બનાવી પાંજરામાં પુરાઈ રહી પાકનું રક્ષણ કરવા મજબુર બન્યા છે
વન વિભાગની નિષ્ફળ કામગીરી, દીપડો માનવભક્ષી બને તે પહેલા પાંજરે પુરવામાં આવેની માંગ
ભાટકોટા, રામેશ્વર કંપા, ગોખરવા, શામપુર સરડોઇ, લાલપુર સહીત 15 થી વધુ ગ્રામ્ય વિસ્તારમાં દીપડા પરિવારના આંટાફેરા અને ગઢડા, શામપુર ગામમાં પશુઓનું મારણ કરતા સમગ્ર પંથકમાં ભય ફેલાયો છે વનવિભાગ તંત્ર દીપડા દેખાય તે વિસ્તારમાં પાંજરૂ મૂકી સંતોષ માની રહ્યું છે છેલ્લા એક મહિનાથી લોકો જીવ હાથમાં લઇ ફરી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે દીપડાઓ માનવભક્ષી બની કોઈ માણસને શિકાર બનાવે તે પહેલા પાંજરા સહીત અન્ય ઉપકરણોની મદદ લઇ પાંજરે પુરવામાં આવેની લોક માંગ પ્રબળ બની છે.