ઉત્તર ગુજરાતમાં મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો, જેની અસર અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે જોવા મળી હતી. જિલ્લાના મોડાસા, મેઘરજ, શામળાજી પંથકમાં મોડી રાત્રે માવઠું થયું હતું, તો મોડાસા તાલુકાના ટિંટોઈ, દધાલિયા તેમજ ઈસરોલ પંથકમાં વરસાદ વરસ્યો હતો. આ સાથે જ મેઘરજના રેલ્લાવાડા, ઈસરી સહિતના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા સાથે વરસાદ થયો. વારંવાર હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતી આગાહીને પગલે હજુ કેટલાક વિસ્તારોમાં ખેડૂતોએ ઘઉં કાઢ્યા નથી ત્યારે ખેડૂતોની ચિંતા વધી છે.
પખવાડિયા પહેલા અરવલ્લી જિલ્લામાં ભારે માવઠું થયું હતું, જેને લઇને મોડાસા તાલુકાના વરથુ, દધાલિયા, ઉમેદપુર, ઈસરોલ, જીવણપુર, વણિયાદ, કોકાપુર, મોરા, મુલોજ સહિતના વિસ્તારોમાં ખેડૂતોના ઘઉં અને તરબૂચના પાકને નુકસાન થયું હતું ત્યારે ફરીથી વરસાદ થતાં ખેડૂતોની ચિંતા વધી છે.





