કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિતભાઈ શાહે અમદાવાદ મહાનગર પાલિકા ના રૂપિયા ૩૦૭ કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત પ્રસંગે જણાવ્યું કે, કોરોના કાળમાં પણ ગુજરાતની વિકાસયાત્રા અટકી નથી કે ધીમી પડી નથી. તેમણે ઉમેર્યું કે, જ્યારે સમગ્ર વિશ્વમાં વિકસિત દેશો પણ મંદીનો સામનો કરી રહ્યા હતા ત્યારે પણ ગુજરાતમાં વિકાસકાર્યો તેજ ગતિથી આગળ વધી રહ્યા હતા. અમિતભાઈ શાહે કહ્યું કે, નરેન્દ્ર ભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને અત્યાર સુધીના તમામ મુખ્યમંત્રીઓએ ગુજરાતના વિકાસને વેગવંતો બનાવ્યો છે અને ભુપેન્દ્રભાઈ પટેલ આજ વિકાસ કામોને આયોજનપૂર્વક તેજ ગતિએ આગળ વધારી રહ્યા છે. ગૃહ મંત્રીએ આ તકે અમદાવાદ મહાનગર પાલિકાના પ્રતિનિધિઓને પણ આ વિકાસ કાર્યો માટે અભિનંદન પાઠવ્યા હતા.અમિતભાઈ શાહે અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં થયેલા રૂ. ૧૫૭ કરોડના વિકાસકાર્યોનુ લોકાર્પણ અને ૧૫૦ કરોડનું ખાતમૂહૂર્ત સંપન્ન કર્યું હતું.

અમિતભાઈ શાહે આ વિકાસ પ્રકલ્પો ની ભેટ આપતા ગાંધીનગર સંસદીય મત વિસ્તાર ને દેશનો સૌથી શ્રેષ્ઠ અને હરિયાળો મત વિસ્તાર બનાવવાની નેમ દર્શાવી હતી.કેન્દ્રીય ગૃહમંત્રીએ અમદાવાદ મહાનગરપાલિકાના નારણપુરા વિસ્તારમાં નવું વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર નું લોકાર્પણ કર્યું હતું, જેના પગલે નારણપુરા અને ઘાટલોડિયાના 60 હજારથી વધુ લોકોને પીવાનું શુદ્ધ પૂરતું પાણી મળી રહેશે. અમિતભાઈ શાહે ઘાટલોડીયા, થલતેજ, ગોતા તથા સોલા તેમજ હેબતપુર ખાતે ૮૨૬ જેટલા ઇડબલ્યુએસ આવાસો તેમજ થલતેજમાં બોપલ ઇકોલોજી પાર્ક તેમજ કોતરપુર વોટર વર્કસ ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ પણ કર્યું હતું. આ અવસરે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈએ ચાંદલોડિયા વોર્ડમાં ગજરાજ વોટર ડિસ્ટ્રિબ્યુશન, થલતેજમાં વિશ્રામનગર વોટર ડિસ્ટ્રિબ્યુશન, થલતેજ સિંધુભવન ખાતે પાર્ટી પ્લોટ તથા કોમ્યુનિટી હોલ તેમજ શીલજ તળાવના ફરતે આરોગ્ય વન તથા વિસત તરફ જતાં રસ્તા પર પાણીની લાઈન નું ખાતમુહૂર્ત પણ કર્યું હતું
.
કેન્દ્રિય ગૃહમંત્રી એ કહ્યું કે, જ્યારે દેશ પાસે દ્રષ્ટીવંત નેતૃત્વ હોય તેના કેવા સારા પરિણામો પ્રાપ્ત થાય છે તેનું ઉદાહરણ આપતા કહ્યું કે, કોરોનાકાળમાં એક પણ ગરીબ ભૂખ્યો ન સુવે તેની ચિંતા કરી કેન્દ્ર સરકારે બે વર્ષ સુધી ૬૦ કરોડથી વધુ લોકોને મફત અનાજ પૂરુ પાડ્યું છે. ગૃહમંત્રી તેમના ઉદબોધનમાં કહ્યું કે, કોરોના કાળ દરમિયાન રસીની ઉપયોગિતાને ધ્યાનમાં લઈને નરેન્દ્રભાઈએ વૈજ્ઞાનિકો સાથે સતત સંપર્કમાં રહીને ભારતમાં બે સ્વદેશી રસી તૈયાર કરાવી અને આજે ભારતમાં લગભગ 130 કરોડ થી વધુ લોકોનું રસીકરણ થઈ ચૂક્યું છે. આ વ્યાપક રસીકરણને કારણે જ ભારતમાં ત્રીજી લહેર આવતી પણ અટકી છે એમ અમિતભાઈ ઉમેર્યું હતું.આજે સમગ્ર દેશમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગરીબ કલ્યાણના સેવા યજ્ઞો ચાલી રહ્યા છે. આઝાદીનાં ૭૫ વર્ષમાં જે ના થઇ શક્યું તે નરેન્દ્રભાઈએ દેશને કરી દેખાડ્યું છે.ઘરે ઘરે શૌચાલય સુવિધા આપવાનું કામ નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં કર્યું છે. આજે દેશ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દરેક ક્ષેત્રમાં વિકાસના નવા આયામો સર થઈ રહ્યા છે.
એક્સપોર્ટ કરનારા દેશમાં આજે ભારતનુ સ્થાન અગ્રેસર છે. પાંચ ટ્રિલિયન ડોલર ઇકોનોમી ની દિશામાં ભારત ઉત્પાદન હબ બનવા તરફ આગળ વધી રહ્યો છે.
આ અવસરે નગરજનોને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, ગૃહમંત્રી અમિતભાઈ શાહ જ્યારે પણ ગુજરાતમાં આવે છે ત્યારે જનતા માટે વિકાસ કામો અને યોજનાકીય લાભોની સોગાત લઈને જ આવે છે. આંતરમાળખાકીય સુવિધાથી લઈ આરોગ્ય અને આવાસ સુવિધા સહિતની તમામ બાબતે નાગરિકોની દરકાર કરીને અમિતભાઇ શાહ તેમના મતક્ષેત્રના વિકાસ વિધાતા પુરવાર થયા છે તેવો સ્પષ્ટ મત મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતના વિકાસ મોડલના પાયામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ મંત્રી અમિતભાઈ શાહનો પરિશ્રમ રહેલો છે.
આ અવસરે અમદાવાદના મેયર કિરિટભાઈ પરમાર, ઉદ્યોગમંત્રી જગદિશભાઈ વિશ્વકર્મા, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદિપભાઈ પરમાર, આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ, પૂર્વ ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, સાંસદ હસમુખભાઈ પટેલ, નરહરિભાઈ અમિન, ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા ઉપરાંત ડેપ્યુટી મેયર ગીતાબહેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશભાઈ બારોટ તેમજ અમદાવાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા તેમજ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.





