કેન્દ્ર સરકારે દેશમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે મોટી જાહેરાત કરી છે. સરકારે દેશભરમાં 100 નવી સૈનિક શાળાઓ ખોલવાની છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કેરળના અલપ્પુઝામાં એક શાળાના કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, દેશમાં 100 નવી સૈનિક શાળાઓ ખોલવામાં આવશે.
દેશના તમામ જિલ્લામાં સૈનિક શાળા શરૂ કરવાનો નિર્ણય
તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે દેશમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે તેમજ સમગ્ર વિકાસમાં યોગદાન આપવાના હેતુસર આ નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે સૈનિક શાળાઓમાં દિકરીઓના પ્રવેશનો પણ રસ્તો સ્પષ્ટ કરી દીધો છે. તેમણે કહ્યું કે, સરકારે દેશના દૂરના ક્ષેત્રો અને વિવિધ સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિના કર્મચારીઓને સામેલ કરવા માટે દેશના તમામ જિલ્લામાં સૈનિક શાળાઓ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
દિકરીઓ પણ સૈનિક શાળામાં મેળવી શકશે પ્રવેશ
કેન્દ્ર સરકારના આ નિર્ણયથી દેશમાં સૈનિક શાળાઓની સંખ્યા વધશે. આ ઉપરાંત ઘણા હોનહાર વિદ્યાર્થીઓનો વિકાસ થશે. હવે દિકરીઓ માટે પણ સૈનિક સ્કૂલમાં પ્રવેશ લેવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. હવે તેઓ પણ અહીં પ્રવેશ મેળવી શકશે.





