રાજ્ય સરકાર સતત કહે છે કે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. પણ કેટલાક શખ્સો કાયદામાં રહેવા માંગતા નથી, પણ આવા શખ્સોને પોલિસ ભાન કરાવી રહી હોવાના દ્રશ્યો મીડિયામાં જોવા મળતા હોય છે. અરવલ્લી જિલ્લા પોલિસ વડાના માર્ગદર્શન હેઠળ અરવલ્લી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ધાડ પાડનાર અને ફાર્મ હાઉસમાં તોફાન મચાવનાર ગેંગને ઝડપી પાડીને કાયદાનું ભાન કરાવી દીધું. એટલું જ નહીં જે જગ્યાએ ઘટનાને અંજામ આપ્યો હતો, તે રૂટ અને તેમના જ વિસ્તારમાંથી આરોપીઓને લઈ જઈને રીકન્સ્ટ્રક્શન કર્યું હતું.
ધનસુરા પોલિસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વડાગામ ખાતે એક ફાર્મ હાઉસમાં નવરાત્રી 26-09-2025 ના રોજ ધાડ ની ઘટના ઘટી હતી, જેમાં કેટલાક શખ્સોએ રોકડ સહિતના મુદ્દામાલ ની લૂંટ ચલાવી પલાયન થઈ ગયા હતા. આ તમામ ધાડપાડુઓએ મોંઢે રૂમાલ બાંધીને સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટનાની ગંભીરતા જોઈને અરવલ્લી જિલ્લા પોલિસ વડા મનોહરસિંહ જાડેજાએ, એલ.સી.બી., એસ.ઓ.જી. તેમજ ધનસુરા પોલિસને તપાસ સોંપી હતી. સમગ્ર ઘટનાની ગંભીરતા જોઈને પોલિસની ટીમ આ શખ્સોની શોધમાં હતી, ત્યારે બાતમી હકીકત ધાડ પાડીને લૂંટ ચલાવનારા આરોપીઓ એચ.પી.ગેસની બાજુમાં શીકા રોડ, ધનસુરા ખાતે છે, અને કેટલોક મુદ્દામાલ પણ છે. પોલિસ બાતમીના આધારે ત્યાં ત્રાટકી હતી અને (૧) પ્રકાશભાઇ રમેશભાઇ વસાવા (૨) સંજયભાઇ નટુભાઇ વસાવા (૩) કેતનભાઇ રમણભાઇ રાવળ (૪) કરણભાઇ બાલુભાઇ વસાવા (૫) કિશનભાઇ શંકરભાઇ વસાવા (૬) સંજયભાઇ ધુળાભાઇ ડાયમા ને ઝડપી પાડ્યા હતા. પોલિસે આરોપીઓ પાસેથી કુલ 3,30,000 રૂપિયા કબજે કર્યા હતા.
ધાડપાડુઓની MO કામ ન આવી, ગુનાહિત ઈતિહાસ
ધનસુરા તાલુકાના વડાગામ નજીક ફાર્મ હાઉસમાં ધાડપાડુઓ ત્રાટક્યા હતા અને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. ઝડપાયેલા તમામ આરોપીઓ ધનસુરા ના છે. આરોપીઓએ લૂંટની ઘટનાને અંજામ આપતા પહેલા આ વિસ્તારની રેકી કરી હતી. ઓળખાણ ન પડે, તે માટે મોંઢા પર કપડું બાંધી દીધું હતું. તમામ છ આરોપીઓ પોતાના ગામમાં જ લૂંટ ચલાવી હતી અને મોંઢે બાધેલ કપડાને સળગાવી દીધા હતા. લૂંટમાં મેળવેલ રોકડને પચાસ-પચાસ હજાર રૂપિયા ભાગ પાડી, તેમના કામ-ધંધે નિકળી ગયા હતા. ઝડપાયેલ આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ છે અને વાયર ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.






