અંતરિયાળ વિસ્તારની સરકારી B.Ed. કોલેજમાં લાલિયાવાડીના આક્ષેપો, તાલીમાર્થીઓના અભ્યાસ પર અસર અંગે સવાલો
અંકિત ચૌહાણ/જય અમીન
મેઘરજ: અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં આવેલી સરકારી બી.એડ. કોલેજમાં પ્રાધ્યાપકોની સમયપાલન અને હાજરીને લઈને ગંભીર સવાલો ઉઠ્યા છે. કોલેજમાં બખડજંતર અને આંતરિક વિવાદ વચ્ચે તાલીમાર્થીઓના અભ્યાસ પર પણ અસર થતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે.
રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી તથા મેઘરજ-ભિલોડાના ધારાસભ્ય પી.સી. બરંડા કોલેજની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન કોલેજમાં કેટલાક પ્રાધ્યાપકો ગેરહાજર હોવાનું ધ્યાને આવતા ધારાસભ્યએ હાજરીના મસ્ટરની તપાસ કરી હતી.
ગેરહાજર પ્રાધ્યાપકો સામે સ્થળ પર જ મસ્ટરમાં પોતાની જાતે જ એબસન્ટ મૂકીને દાખલારૂપ કાર્યવાહી કરતાં કોલેજ તંત્રમાં ખળભળાટ મચ્યો હતો. મંત્રી પી. સી. બરંડા ની અચાનક તપાસથી કોલેજમાં પ્રાધ્યાપકોની હાજરી અને નિયમિતતા અંગે ચાલી રહેલા સવાલોને વધુ વેગ મળ્યો છે.
અંતરિયાળ વિસ્તારમાં શિક્ષક તાલીમ માટેની મહત્વની સરકારી સંસ્થા હોવા છતાં પ્રાધ્યાપકોની અનિયમિત હાજરી અને આંતરિક વિવાદના કારણે તાલીમાર્થીઓને યોગ્ય શૈક્ષણિક માર્ગદર્શન મળી રહ્યું છે કે કેમ તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. તાલીમાર્થીઓના પાઠ લેતા પ્રાધ્યાપકો પોતે જ પાઠ આપતા ગભરાતા હોવાના મુદ્દે પણ અગાઉ ચર્ચા થઈ હતી.
કોલેજમાં પ્રાધ્યાપકોની હાજરી, શૈક્ષણિક કામગીરી અને આંતરિક વ્યવસ્થાની યોગ્ય તપાસ કરી જવાબદારો સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સરકારી સંસ્થામાં નિયમિત શિક્ષણ અને તાલીમાર્થીઓના હિતને પ્રાથમિકતા મળે તે જરૂરી બન્યું છે.
રાજ્યકક્ષાના મંત્રી પી.સી. બરંડાની સ્થળ પરની કાર્યવાહી બાદ હવે ઉચ્ચ શિક્ષણ તંત્ર દ્વારા કોલેજની કામગીરી અને પ્રાધ્યાપકોની હાજરી અંગે શું પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર છે.





